આગામી થોડા સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly election 2022) જાહેરાત થઇ શકે છે. ગુજરાતમાં ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે. આ વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમને સામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા છે.
ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રયોગ શાળા માનવામાં આવે છે. ભાજપ દ્વારા ગુજરાતમાં જે રાજકીય પ્રયોગ કરવામાં આવે છે અને જો સફળતા મળે તો એનો અન્ય રાજ્યોમાં અમલ કરે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ જમીની સ્તરે પક્ષને મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. મિશન 2022 અંતર્ગત કોંગ્રેસ ઝોન વાઇઝ બેઠકો યોજી રહી છે. ચૂંટણીના શંખનાદની વચ્ચે અમે આપની સમક્ષ ગુજરાતની તમામ 182 બેઠકોનુ ચિત્ર આપની સમક્ષ મુકતા હોઈએ છીએ. ત્યારે આ અંતર્ગત આજે આપણે વાત સાવલી વિધાનસભા બેઠક (Savli assembly seat) વિશે ચર્ચા કરીશું.
સાવલી વિધાનસભા બેઠક (savli assembly constituency)
સાવલી વડોદરાના સાવલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. આ 182 વિધાનસભા બેઠકમાં સાવલી વિધાનસભા બેઠક 135માં ક્રમાંકે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કેતનભાઈ ઈનામદારે કોંગ્રેસ ઉમેદવાર સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતથી હરાવીને જીત મેળવી હતી.
કેતન ઇનામદારને 97,646 મત મળ્યા હતા અને કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 56,013 મત મળ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેતનભાઈ ઈનામદાર IND પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને મ્હાત આપી હતી.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
કેતનભાઈ ઈનામદાર
ભાજપ
2012
કેતનભાઈ ઈનામદાર
IND
2007
ખુમાનસિંહ ચૌહાણ
કોંગ્રેસ
2002
ઉપેન્દ્રસિંહજી ગોહિલ
ભાજપ
1998
ખુમાનસિંહ ચૌહાણ
કોંગ્રેસ
1995
ખુમાનસિંહ ચૌહાણ
કોંગ્રેસ
1990
ખુમાનસિંહ ચૌહાણ
JD
1985
પ્રકાશચંદ્ર બ્રહ્મભટ્ટ
JNP
1980
પ્રભાતસિંહ પરમાર
કોંગ્રેસ
1975
પ્રભાતસિંહ પરમાર
કોંગ્રેસ
1972
મણિભાઈ શાહ
કોંગ્રેસ
1967
મણિભાઈ શાહ
કોંગ્રેસ
1962
મનુભાઈ પટેલ
કોંગ્રેસ
કેતન ઈનામદાર, રાજીનામું અને વિવાદ
વર્ષ 2020માં સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જીતુ વાઘાણી સાથે બેઠક કર્યા બાદ માગણીઓ સંતોષાવાની ખાતરી મળતાં તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું. કેતન ઇનામદારે પોતાના રાજીનામાં પત્રમાં સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
પત્રમાં જણાવ્યું હતું કે, ‘મારા મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન નથી આપતા. પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યપદની ગરિમા અને સન્માન જળવાતું નથી.’
ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકા 16 કરતાં વધુ સભ્યોએ તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ પોતાનાં રાજીનામાં આપી દીધા હતા. વર્ષ 2012માં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે ટીકીટ આપવામાં ના આવતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઊતર્યા હતા અને જીત હાંસલ કરી હતી.
સરકાર સામે બાંયો ચડાવતાં ઈનામદારની ટીકીટ કપાઈ શકે છે
વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભા બેઠક પર કેતન ઈનામદાર બે ટર્મથી ચૂંટાઈ આવે છે. કેતન ઈનામદાર દ્વારા પ્રજાલક્ષી કામની આડમાં સરકાર સામે બાંયો ચઢાવતાં તેમની પણ ટીકીટ કાપવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે.
સાવલી બેઠક પર ભાજપ નવો ઉમેદવાર ઉતારી શકે છે
સાવલી વિધાનસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજના અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી ઘણા સમયથી વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યા છે. જો ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવે અને ક્ષત્રિયને ટીકીટ આપવામાં આવે તો કેતન ઇનામદારની પણ ટીકીટ કાપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી રહી છે. કેતન ઈનામદારની જગ્યાએ બરોડા ડેરીના ડિરેક્ટર અને ક્ષત્રિય સમાજના અગ્રણી કુલદીપસિંહ રાઉલજીને ટીકીટ આપવામાં આવે એવો તખતો ઘડાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સાવલી વિધાનસભા મતવિસ્તારમાં સ્થાનિકોએ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાવલીના 34 ગામોમાં સિંચાઈ માટે કોઈ પણ નદીનું પાણી આપવામાં આવતું નથી. ખેડૂતો તથા ગ્રામજનો સિંચાઈ અને પીવાના પાણીના યોગ્ય પુરવઠાની માગણીને લઈને વહીવટી તંત્રને અવારનવાર રજૂઆતો કરતા રહે છે. તેમ છતાં આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવતું નથી.
સાવલી તાલુકામાં મંજુસર GIDCમાં કામ કરતા યુવાનોના પગારમાંથી કામદાર રાજ્ય વીમા મંડળમાં ફાળા પેટે અમુક રકમ કાપવામાં આવે છે. પરંતુ તેમને આરોગ્ય સંબંધિત સેવાઓ તાત્કાલિક મળી શકતી નથી.
ખુમાનસિંહ ચૌહાણનો કાર્યકાળ
કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા તરીકે ગણવામાં આવે છે. વર્ષ 2007માં ખુમાનસિંહ ચૌહાણે સાવલી વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. વર્ષ 1995 અને 1998ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ પક્ષમાંથી જીત મેળવી હતી. વર્ષ 1990માં ખુમાનસિંહ ચૌહાણે JD પક્ષમાંથી જીત મેળવી હતી. તો વર્ષ 2012 માં કેતન ઈનામદારે કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને હરાવ્યા હતા.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખુમાનસિંહ ચૌહાણને ટીકીટ ના આપતા તેઓ નારાજ થઈ ગયા હતા. કોંગ્રેસનો હાથ છોડીને તેઓ NCPમાં જોડાઈ ગયા હતા. પરંતુ વર્ષ 2019માં તેઓ ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
સાવલી ઈતિહાસ (History of Savli )
સાવલી ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સેવા દ્વારા રાજ્યના બધાં મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. વડોદરાના પ્રથમ મહારાજા પીલાજી રાવ ગાયકવાડની અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા હતા. સાવલીનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે.
વડોદરા લોકસભા ચૂંટણી
વડોદરા લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકમાં શહેરવાડી, રાવપુરા, માંજલપુર, અકોટા, સયાજીગંજ ઉપરાંત સાવલી અને વાઘોડિયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટે કોંગ્રેસ ઉમેદવાર પ્રશાંત પટેલની જંગી બહુમતીથી હાર આપી હતી. તો વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પરચમ લહેરાવ્યો હતો, આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના મધુસુદન દેવરામને 2,51,427 મતોથી મ્હાત આપી હતી.