વિનાયક ચતુર્થી એટલે કે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ.
માંડવી ખાતે મહાકાળી મંદિરે ચિંતામણી ગણેશજી બીરાજે છે. વિનાયક ચતુર્થીનાં અહીં ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતામણી ગણેશજીની પુજાથી મંગળ, બુધ અને કેતુ ગ્રહની ખરાબ અસરથી મુક્તિ મળે છે.
Nidhi Dave, Vadodara: વિનાયક ચતુર્થી એટલે કે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે માંડવી ખાતે આવેલા મહાકાળી મંદિરે ચિંતામણી ગણેશજીના સાનિધ્યમાં ભવ્ય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મોદક આહુતિ આપવામાં આવશે.
કળિયુગમાં ગૌરી અને ગણેશ ત્વરિત પ્રસન્ન થતા દેવી દેવતા હોવાનું શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે જે દેવાલય માં ગૌરી એટલે કે માતાજી અને ગણેશજીની મૂર્તિ અને યંત્ર પૂજા થાય છે તે કળિયુગમાં ઉત્તમ આરાધના સ્થાન તરીકે વરનાવાયું છે.
પરંતુ આજના સમયમાં આવા શાસ્ત્રોક્ત પદ્ધતિસરના મંદિરો બહુ ઓછા રહ્યા છે. તીર્થ ક્ષેત્રો સિવાય આવા મંદિરો વિશે લોકોને ખાસ જાણ પણ નથી.. ત્યારે વડોદરા કે જે નવનાથ નગરી તરીકે જાણીતી છે, ત્યાં હજી પણ આવા આધ્યાત્મિક ઊર્જા સભર મંદિરો છે. જે પૈકી વિઠ્ઠલ મંદિરની ગલીમાં આવેલા અંશ પાવાગઢ તરીકે જાણીતા મહાકાળી મંદિરનો સમાવેશ થાય છે.
ચિંતામણી સ્વરૂપ ગણવામાં આવે છે
આ મંદિરનું કાળી ચૌદશે વિશેષ મહાત્મય છે. પરંતુ ઘણા ઓછા શ્રદ્ધાળુઓને જાણ હશે, કે મહાકાળી માતાજીની સાથે અહી ચિંતામણી સ્વરૂપે ગણેશજી પણ વિરાજે છે. શાસ્ત્રોમાં ગણેશજીના વિવિધ સ્વરૂપ વરણાવવામાં આવ્યા છે, જેમાં સિદ્ધિ વિનાયક, હેરંબ ગણેશ જેવા સ્વરૂપો સાથે ચિંતામણી ગણેશનો પણ ઉલ્લેખ છે. શાસ્ત્રો અનુસાર જે ગણેશજી જમણી સૂંઢ સાથે તેમના હાથમાં પદ્મ નામક આયુધ હોય અને સાથે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન હોય તેમને ચિંતામણી સ્વરૂપ ગણવામાં આવે છે.
આ ગ્રહોથી મુક્તિ મળે છે
ચિંતામણી સ્વરૂપ ગણેશના દર્શન અને પૂજનથી મંગળ, બુધ અને કેતુ ગ્રહની ખરાબ અસરથી મુક્તિ મળે છે. જે લોકોને કોર્ટ, કચેરી, પોલીસ કેસ, જેવા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય, તેમના માટે ચિંતામણી ગણેશની આરાધના સૌથી ઉત્તમ છે. જે સમસ્ત બાધા અને ચિંતાઓને હરે છે તેમને ચિંતામણી ગણેશ તરીકે ઓળખવા તેવો ગણેશ પુરાણમાં પણ ઉલ્લેખ છે.
મેલમાંથી ગણેશજીનું પ્રાગટ્ય કર્યું હતું
આજે માઘી ગણેશ ચતુર્થી છે, એટલે કે આજે પાર્વતી માતા એ પોતાના શરીરના મેલમાંથી ગણેશજીનું પ્રાગટ્ય કર્યું હતું. ત્યારે આજરોજ મહાકાળી કે જે પાર્વતીમાતાનું રૌદ્ર સ્વરૂપ છે, તેમની સાથે બિરાજતા ચિંતામણી ગણેશ કે જે 17 મી સદીથી એટલે કે ત્રણસો વર્ષો ઉપરાંતથી વડોદરામાં સ્થાપિત છે તેમની સમક્ષ ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે.
અહી ગૌરી (મહાકાળી) અને ગણેશજીની એક સાથે પૂજા થાય છે
બુધ્ધિના દેવતા એવા ગણેશજીની વિનાયક ચતુર્થી આ વખતે બુધવારે આવી છે, જે ખૂબજ શુભ ગણવામાં આવે છે. આ અંગે મંદિરના પૂજારી હેમંત મહારાજે જણાવ્યું હતું કે, ગણેશજીની કૃપા વડોદરાવાસીઓ પર હમેશાં રહી છે. વડોદરામાં અનેક ગણેશ મંદિરો છે અને લોકોને આ તમામ મંદિરોમાં ખૂબ શ્રધ્ધા છે.
ત્યારે મહાકાળી માતાજી સાથે બિરાજતા ચિંતામણી ગણેશજી વિશે કહું તો અંશ પાવાગઢ તરીકે જાણીતા આ મંદિરની બીજી ખાસિયત એ છે કે અહી ગૌરી (મહાકાળી) અને ગણેશજીની એક સાથે પૂજા થાય છે. જેથી ગૌરી ગણેશની સંયુક્ત કૃપા પ્રાપ્ત થાય છે.
મારા દાદાના જણાવ્યા મુજબ મહેરાલ ગણેશ મંદિરના તત્કાલીન મહંત શ્રી એ આ મૂર્તિ માંગી હતી અને મૂર્તિના વજન જેટલું સુવર્ણ આપવાનું કહ્યું હતું, પણ મારા દાદા એ આ વાતને હાથ જોડીને નકારી હતી, કારણકે માતા પુત્રની આ જોડીની પૂજાનું મહત્વ વિશિષ્ટ છે અને બંનેની જોડી ખંડિત કરવી એ બહુ મોટો અપરાધ છે.વિનાયક ચોથના દિવસે સવારથી ગણેશ યાગ શરૂ થયો અને સાંજે 5 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે. આ ગણેશ યાગ મંદિર દ્વારા 100 વર્ષોમાં પ્રથમ વાર યોજાશે.