વડોદરા: આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત અતિવૃષ્ટિને ધ્યાને રાખીને વડોદરા કલેક્ટર (Vadodara Collector) અતુલ ગોરે કલેક્ટર કચેરી ખાતે આપદા વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. આ બેઠકમાં તેમણે પ્રાંત અધિકારીઓ,પોલીસ અધિકારીઓ અને મામલદારોને ભૂતકાળમાં પૂરમાં અસરગ્રસ્ત થયેલા ગામોની આગામી પખવાડિયા દરમિયાન મુલાકાત લઇ સ્થળસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી. આગામી એક જૂનથી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે.
ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ
આ બેઠકમાં એવી સૂચના આપવામાં આવી કે, ભૂતકાળમાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના અનુભવને ધ્યાને રાખીને પૂર્વ તૈયારીઓ કરવી જોઇએ. આ પૂર વખતે એનડીઆરએફની ટીમને જરોદથી વડોદરા પહોંચવા માટે ટ્રાફિક અડચણરૂપ થયાની બાબત ધ્યાને રાખીને તેમણે એનડીઆરએફને એવો આગ્રહ કર્યો હતો કે વરસાદના સંજોગોમાં એકબે ટીમને અગાઉથી જ વડોદરામાં રાખી દેવાથી આપત્તિ સમયે વેળાસર મદદ પહોંચાડી શકાય.
ગત્ત વખતની અતિવૃષ્ટિમાં અસર પામેલા ઘણા ગામોની મે મુલાકાત લીધી છે,એમ કહેતા કલેક્ટરએ ઉમેર્યું કે,2019 અને અત્યારની સ્થિતિમાં ઘણો બદલાવ થઇ ગયો હશે. તેની પ્રાંત અધિકારી,મામલતદાર અને પોલીસ અધિકારી આગામી 15 દિવસમાં જેતે ગામની મુલાકાત લઇ સ્થળસ્થિતિનો તાગ મેળવી આપદા આયોજનમાં જરૂરી ફેરફાર કરે તે જરૂરી છે.
કલેકટર ગોરે વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા સૂચન કર્યું.
કલેકટર ગોરે વડોદરા શહેર અને ગ્રામ્યના તરવૈયાઓને એનડીઆરએફ પાસે તાલીમ અપાવવા માટે પણ સૂચન કર્યું છે. આ ઉપરાંત,ગ્રામ્ય વિસ્તારમાં 240 જેટલા આપદા મિત્રો તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી તેમણે આપી. ખાસ કરીને ગામના જ લોકોને આપત્તિ સામેની કેવી સાવચેતી રાખવી અને બચાવ કેવી રીતે કરવો તેની જાણકારી આપવા ઉપર ભાર મૂક્યો. કારણ કે,ગ્રામ્ય કક્ષાએ આપદામિત્રો સુસજ્જ હશે તો તુરંત મદદ મોકલી શકાશે. જરૂરી અનાજની પૂરૂ પાડવા ઉપરાંત,સુરક્ષિત સ્થળોને મેડિકલ ટીમોની વ્યવસ્થા રાખવા જણાવવામાં આવ્યું.
પ્રસુતીની શક્યતા ધરાવતી સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી
ભૂતકાળમાં અસરગ્રસ્ત ગામોમાં 1 જુલાઇથી 1 ઓક્ટોબરમાં પ્રસુતીની શક્યતા ધરાવતી સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી. આ ઉપરાંત જરૂરી દવાનો જથ્થો,ક્લોરીનની ગોળીઓ પૂરતા પ્રમાણમાં હોવાનું પણ તબીબી અધિકારીએ કહ્યું.
વન વિભાગ દ્વારા તેની પરિક્ષેત્રીય કચેરી પ્રમાણે કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા.
વડોદરા જિલ્લાના માર્ગો ઉપર આવેલા કોઝ વે ઉપર પાણીની ભયજનક સપાટી દર્શાવતા બોર્ડ મૂકવા ઉપરાંત જૂના બોર્ડને બદલવા માટે તેમણે માર્ગ અને મકાન વિભાગને કહ્યું. વન વિભાગ દ્વારા તેની પરિક્ષેત્રીય કચેરી પ્રમાણે કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અને આ રૂમમાં રસ્તા ઉપર પડી ગયેલા વૃક્ષોને કાપવા,હટાવવા માટેના સાધનો અને માનવ સંસાધન રાખવામાં આવશે,તેવી માહિતી આપવામાં આવી.
વડોદરા જિલ્લામાંહોડીઓ,રેઇન ગેઝ મિટર,તરાપા,ડિવોટરિંગ પમ્પ,બૂલડોઝર સહિતના સાધનસામગ્રીની સ્થિતિ પણ કલેક્ટરએ સંબંધિત અધિકારી પાસેથી જાણી. તેમણે પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચે આપત્તિના સમયે સારી રીતે સંકલન થાય એ બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો. આ કન્ટ્રોલરૂમ ગુજરાત, રાજસ્થાન, દાદરા નગર હવેલી, દમણ, દીવ કાર્યરત છે. જેમાં વડોદરા ખાતે કુલ 12 જેટલી ટિમ તૈનાત છે, તથા ગાંધીનગરમાં 3 અને અજમેરમાં 3 ટીમને મુકવામાં આવેલ છે. જિલ્લામાં કોઈ મુસીબત આવી પડે તો એ જવાબદારી કલેકટર સાંભળતા હોય છે. અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરતા હોય છે.
આપત્તિ સમય માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો.
ચોમાસા દરમિયાન કોઈ ઘટના બને કે મુશ્કેલી આવી પહોંચે તો એ સમયે આ નંબર પર સંપર્ક કરી શકો છો - 9870006730
સંપર્ક કર્યાના 30 મિનિટમાં એન.ડી.આર.એફ.ની ટિમ ઘટના સ્થળે પહોંચી જતી હોય છે.