ન્યૂઝ18 ગુજરાતી: વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેનની જીત થઇ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને હારનો સામનો કરવો પડ્યો છે.
લોકસભાની વડોદરા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. છેલ્લી સતત ૬ ટર્મથી એટલે કે ૨૧ વર્ષથી ભાજપ આ બેઠક પર કેસરિયો લહેરાવતો આવ્યો છે. એટલું જ નહિ, વડોદરા લોકસભા બેઠક હસ્તક આવતી સાતેય વિધાનસભા- સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર ભાજપે કબજે કરેલી છે.
આઝાદી પછી પહેલીવાર લોકસભાની વડોદરા બેઠક પર વર્ષ ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં માણેકલાલ ગાંધી અને બાદમાં ઈન્દુભાઈ અમીન અને કોંગ્રેસ માંથી વડોદરા બેઠકના પહેલા સાંસદ બન્યા હતાં. આ બેઠક પર કોંગ્રેસનો સતત દબદબો રહ્યો હતો. છેલ્લે 1989 માં જનતા દળમાંથી પ્રકાશ બ્રહ્મભટ્ટ (કોકો) ચૂંટણી જીત્યા હતા. જોકે, એ પછી પહેલીવાર ભાજપે આ બેઠક પર વર્ષ ૧૯૯૧માં ખાતું ખોલ્યું હતું અને ટીવી કલાકાર દીપિકા ચિખલિયા ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ ૧૯૯૬ સુધી તેઓ સાંસદ રહ્યાં હતાં. જોકે, ૧૯૯૬માં કોંગ્રેસમાંથી સત્યજિત ગાયકવાડ ચૂંટણી જીત્યા હતાં.
વર્ષ ૧૯૯૮માં ફરી ભાજપનો કેસરિયો લહેરાયો હતો. જયાબહેન ઠક્કર વડોદરા બેઠક પરથી સાંસદ થયા હતાં. ત્યારબાદ 1998 થી 2004 સુધી જયાબહેન સતત ભાજપ માટે ચૂંટાયા। વર્ષ ૨૦૦૯માં બાલુ શુક્લ અને વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ચૂંટણી જીત્યા હતા અને વડા પ્રધાન થયા હતાં. એ પછી પેટા ચૂંટણીમાં વર્ષ ૨૦૧૪માં ફરી ભાજપનો વિજય થયો હતો અને રંજનબહેન ભટ્ટના નામનો પરચમ લહેરાયો હતો. વડોદરા બેઠક ભાજપનો ગઢ છે અને સતત છ ટર્મથી એટલે કે ૨૧ વર્ષથી ભાજપનો કેસરિયો લહેરાય છે.
સાંસદનું રિપોર્ટ કાર્ડ : વડોદરાને એઇમ્સ નહીં મળતા અહીંના ભાજપના ધારાસભ્યોમાં જ નિરાશા છે, જે રંજનબેન ભટ્ટ માટે નબળી બાબત ગણી શકાય। આ સિવાય રંજનબેન સામે વડોદરાના મહાનગરપાલિકાના બોદા તંત્ર, સ્માર્ટ સિટીના નામે થતી યોજનાઓથી લોકોની નારાજગી, પીવાના પાણી પૂરતા પ્રેશરથી ન મળવું અને ખાસ તો ગટરના પાણી પીવાના પાણી સાથે ભળતા દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે. સંસદમાં હાજરી તો ઠીક પરંતુ અહીંના લોકો ટ્રાફિકની સમસ્યા, મોંઘા શિક્ષણ, ગંદકી-પ્રદુષણ અને સફાઈના મામલે પરેશાન છે. નોંધનીય છે કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા ૪૪ માં નંબરેથી સીધું ૭૯મા નંબર ફેંકાઈ ગયું છે.
જાતિગત સમીકરણો : વડોદરા બેઠક ઉપર સૌથી મોટા પ્રમાણમાં ઓબીસી મતદાતાઓ 3,94,309, આદિવાસી મતદાતાઓ 2,34,066, 1,60,000 પાટીદાર, વણિક મતદાતાઓ 1,12,000 અને દલિત-મુસ્લિમ અને બ્રાહ્મણ પ્રત્યેકની સંખ્યા આશરે 1,00, 000ની થવા જાય છે. 2014ની સરખામણીએ 2019માં લગભગ 1,40,000 મતદારો આ બેઠક ઉપર વધ્યા છે