વડોદરા શહેરમાં આવેલ સુરસાગર તળાવ અને એની મધ્યમાં આવેલ 111 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા કે જેને 12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનાથી સુવર્ણ જડિત કરવામાં આવી છે.
Nidhi Dave, Vadodara: વડોદરા જેવા સંસ્કારી નગરીની વાત આવે ત્યારે એક એવા સ્થળની યાદ આવે કે જેના નામ વિના વડોદરા અધૂરું છે. જેની પાળે બેસીને અનેક પેઢીઓ મોટી થઈ અને વર્ષો વિતવા છતાં જેનું આકર્ષણ હજુ અકબંધ રહ્યું છે સુરસાગર તળાવ. વડોદરા શહેરમાં આવેલ સુરસાગર તળાવ અને એની મધ્યમાં આવેલ 111 ફૂટ ઊંચી મહાદેવની પ્રતિમા કે જેને 12 કરોડના ખર્ચે 17.5 કિલો સોનાથી સુવર્ણ જડિત કરવામાં આવી છે.
પહેલા આ નામથી ઓળખાતું હતું
જ્યારે વડોદરા માત્ર ચાર દરવાજાની વચ્ચે વસેલું હતું અને તે કિલ્લા - એ - દોલતાબાદના નામે ઓળખાતું હતું અને ધીરે ધીરે એ નામ પણ ભૂલીને વડોદરા નામ ગ્રહણ થઈ ગયું. આ એ સમય હતો જ્યારે દિલ્હીમાં ઔરંગઝેબની સત્તા આથમી ચૂકી હતી. તે સમયે અમદાવાદના મોગલ સૂબાઓનું ફોજદારૂ કરતાં બાબી નબીરાઓ વડોદરામાં પોતાને બાબી નવાબ કહેવડાવતા હતા.
આ બાબી નવાબના સમયમાં ઉત્તર ભારતમાંથી વડોદરા આવી વસેલ એક વ્યક્તિ કે જેનું નામ હતું રાજા કિરપા રામ ચતુરભુજ દેસાઇ, જેના હાથમાં વડોદરાની દેસાઈ ગીરી હતી. હવે દેસાઈ ગીરી એટલે કે રાજ્યમાં આવતી વસ્તુઓ પર ઉઘરાવવામાં આવતો કર વસૂલ કરવાની સત્તા. તો બન્યું એવું કે,
રાજા કિરપા રામ અવસાન પામ્યા અને રાજા કિરપારામને એક દીકરો હતો જેનું નામ હતું મંછારામ. આ મંછારામ પોતાના પિતાની દેસાઈ ગીરી કોઇ પણ ભોગે સાચવવા માંગતો ન હતો. તેની એવી તીવ્ર ઇચ્છા હતી કે વડોદરાની દેસાઈ ગીરી અન્ય કોઈને આપી દેવી. કિરપા રામને ત્યાં દેસાઇગીરી વિરેશ્વર પંડ્યા અને એમના ભાઈ દલાભાઈ પંડ્યા. આદાભાઈ પંડ્યાના દીકરાનું નામ હતું સુરેશ્વર પંડ્યા.
ઇતિહાસ એવું કહે છે કે, ઇસુની સત્તરમી સદીમાં તારીખ 11 માહે રમઝાન હિજરી સન 1171 ના રોજ કિરપારામના સુપુત્ર મંછારામે વડોદરાની દેસાઇગીરી આ સુરેશ્વર દાભાઇ પંડ્યાને રૂપિયા 40 હજારમાં સોંપી અને આ દેસાઇગીરી મળવાને કારણે જ સુરેશ્વર પંડ્યા હવે સુરેશ્વર દેસાઈ બન્યા. પરંતુ આની સાથે સાથે અન્ય એક દસ્તાવેજ પણ બહુ અગત્યનો છે.
તા.19 માહે જીલક્ત હિજરી સન 1133 ના દિવસે લખાયેલા દસ્તાવેજમાં એવું જણાવાયું છે કે, કોઇક ભીમદાસનો દીકરો કે જેણે સુરસાગરની જમીનનો ટુકડો માત્ર 251 રૂપિયા આપીને ખરીદ્યો. અને આ દસ્તાવેજમાં સાક્ષીની સહીઓમાં સૌથી પહેલી સહી છે કિરપારામને ત્યાં કામ કરતા વિરેશ્વર પંડ્યાની અને સૌથી છેલ્લે સહી કરનાર છે દલો પટેલ કે જેના નામથી દલા પટેલની પોળ પ્રખ્યાત છે.
ચારેય તરફ કબ્રસ્તાનથી ઘેરાયેલો ટુકડો હિજરી સન 1133માં વેચાયો અને પછી કાળક્રમે એ જમીનનો ટુકડો આવ્યો સુરેશ્વર દેસાઈના હાથમાં અને વડોદરા તરફ્ના તેના લગાવને કારણે વડોદરાની એ ભાગોળને સજાવવાનો સુરેશ્વર દેસાઇએ નિશ્ચય કર્યો અને એમાંથી અસ્તિત્વમાં આવ્યું સુરસાગર તળાવ.
પહેલા ચંદન તળાવ તરીકે ઓળખાતું હતું
આ તળાવ સુરસાગર તરીકે તો 17મી સદીના ઉત્તરાર્ધમાં જ જાણીતું થયું. ત્યાં સુધી તો તે ચંદન તળાવ તરીકે જ ઓળખાતું હતું. સુરસાગરના અસ્તિત્વમાં આવ્યાને લગભગ દોઢ સો વરસના વહાણા વીતી ગયા બાદ વડોદરાની ગાદીએ મલ્હારરાવ ગાયકવાડ આવ્યા અને આ મલ્હારરાવ ગાયક્વાડે જ સુરસાગરની કાચી પાળોને સ્થાને પાકી પાળ બંધાવી અને ઘાટ પણ બનાવ્યા. જે આજે પણ મોજૂદ છે. આ સુરસાગરમાં એક વાવ પણ હતી, જે ભગત ભુવાની વાવ તરીકે ઓળખાતી.
ઉપર ઇશ્વર અને નીચે સુરેશ્વર એવી લોક કહેવત જેના નામે ચઢી છે તેવા સુરેશ્વર દેસાઇએ એક વેળાની વેરાન જમીનના ટુકડાને સુંદર મજાના તળાવમાં ફેરવી નાખવાની હિંમત વરસો પહેલાં બતાવી હતી. તેની જિંદાદિલીની અનેક વાતો આજે પણ ઇતિહાસના પાને અમરત્વ પામી છે. આજે એ સુરેશ્વર દેસાઇ તો નથી પણ એમની યાદ અપાવતી પોળ સુરેશ્વર દેસાઈની પોળ તરીકે ઘડિયાળી પોળમાં આગવું સ્થાન ધરાવે છે અને સુરેશ્વર દેસાઈના નામ સાથે સંકળાયેલું સુરસાગર પણ સુરેશ્વરની યાદ તાજી કરાવે છે.
આ તળાવનું બ્યુટીફિકેશન થઈ ગયું છે
હવે જયારે પણ તમે મ્યુઝિક કોલેજ તરફ જઈ ચટપટી વાનગી આરોગો કે પછી હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાઓ કે પછી સર્વેશ્વર મહાદેવને નમન કરો ત્યારે વડોદરાના ઇતિહાસને જરૂર યાદ કરજો. પહેલા આ તળાવમાં ગણેશ વિસર્જન, તાજીયા વિસર્જન, દશામાની મૂર્તિઓ અને વાસી ફૂલો ના વિસર્જન થતું હતું પરંતુ આજે આ તળાવનું બ્યુટીફિકેશન થઈ ગયું છે. અને કોઈપણ પ્રકારનું વિસર્જન અહીં કરવામાં આવતું નથી. અને હવે તો બોટીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરેલી છે.