રાજેશ જોષી, પંચમહાલ : ક્યારેક માણસ જીવનની અકાળે ઉદ્દભવતી કેટલિક વિકટ પરિસ્થિતિ સામે ઝઝૂમવાને બદલે કાયર બની નાસીપાસ થઈ જતો હતો છે. માત્ર નાસીપાસ જ નહીં પણ જિંદગીનો અંત લાવી દેતો હોય છે. આમ કરવાથી સર્જિત પરિસ્થિતિ પૂર્ણ નથી થઈ જતી પરંતુ નાસીપાસ થયેલા વ્યક્તિના પગલાંથી તેના બચેલા સ્વજનોને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. આ સમાજમાં ક્યાંકને ક્યાંક ઉદ્દભવતી આવી સ્થિતિ માટે પંચમહાલ જિલ્લા (Panchmahal District)ના શહેરા તાલુકાના એક ગામનો આધેડ વ્યક્તિ ખરેખર પ્રેરણારૂપ છે. જેનું ઉદારહણ માત્ર નાસીપાસ થતાં વ્યક્તિઓ માટે જ સીમિત નથી પરંતુ દુનિયાદારીની મોહમાયામાં લપેટાઈ પોતાના વયોવૃદ્ધ ઉંમરના ઉંબરે આવી ઉભેલા માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતાં અથવા પોતાનાથી અલગ રાખી હૂંફ નહીં પૂરી પાડતાં વ્યક્તિઓ માટે પણ શીખ લેવા જેવું છે.
શહેરા પંથકના આ દિવ્યાંગ આધેડની વાત એવી છે કે પોતાને ત્રણ વર્ષની વયે જ અચાનક જ લકવાની અસર થતાં પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં દારુણ સ્થિતિમાં જીવતા મા બાપ પોતાના એક જ વહાલસોયા પુત્રને થયેલી શારીરિક તકલીફ અંગે જે સમજ પડી અને પોતાની સ્થિતિ મુજબ દવા દુઆ કરી સાજા કરવાનો પ્રયાસ કર્યો પણ રે નસીબ! આખરે પોતાનો પુત્ર કાયમી અપગતાનો ભોગ બની ગયો અને પશુ જેમ ચાર પગે ચાલવા મજબૂર બન્યો (બે હાથ અને પગના સહારે).
આ પણ વાંચો : સ્કૂલના વિદ્યાર્થીએ ગીત ગાઈને રજૂ કરી વેદના, 'મને શાળાએ જવાના સપાના આવે છે'
એમ કરતાં દિવસો વીતતા ગયા અને પિતાનું છત્ર પણ આ કમભાગીએ ગુમાવ્યું. જેથી માતાની જવાબદારી પુત્રના શિરે આવી પડી. હાલ આ પુત્ર પોતાની માતાની સેવા ચાકરી કરી રહ્યો છે. એ પણ એવી રીતે કે શારીરિક સશક્ત વ્યક્તિને પણ નીચું જોવું પડે! હાલ આ દિવ્યાંગ પુત્ર મંદિર-મસ્જિદ ભટકી પોતાનું અને વયોવૃદ્ધ માતાનું પેટિયું રળી રહ્યો છે. પોતાના વારસામાં આવેલી થોડી જમીનમાં કાકા ખેતી કરી આપે છે, જેમાંથી થોડા દાણા મળે છે જે ખાવા માટે ચાલે છે. રોજિંદા ખર્ચ માટે દર દર માંગી પોતાની ફરજ અદા કરી રહ્યો છે.
જેમાં પણ કોરોના મહામારીના લૉકડાઉન દરમિયાન મંદિર બંધ થઈ જતાં ખૂબ જ કપરા દિવસોનો સામનો કર્યો હોવાનું વર્ણવે છે. પોતાને એકવાર બસો કે ત્રણસો રૂપિયા મળી જાય એમાં માતા પુત્રના પંદર દિવસ નીકળી જાય છે. જે બાદ પુનઃ બસ કે રીક્ષામાં ઘસડાતા જઈ માંડ માંડ મુસાફરી કરી મંદિર કે મસ્જિદ પહોંચી જાય છે.
આ પણ વાંચો : કચ્છ રણોત્સવ માટે 1200થી વધારે બુકિંગ, 12 નવેમ્બરથી થશે શરૂઆત
આ દિવ્યાંગ ભાઈ એક દિવસ મોડી રાત્રે પોતાના ઘેર જવા માટે વાહનની શોધમાં હતો ત્યારે તેને મેં મારી ગાડીમાં બેસાડ્યો હતો ત્યારે તેના ચહેરાની ખુશીનો પાર સમાતો ન હતો. લાગણીશીલ તેના મોઢામાંથી શબ્દો રી પડ્યા કે મારા નસીબમાં તમે મને પહેલીવાર ગાડીમાં બેસાડ્યો. સાહેબ, હું જીવનભર નહીં ભૂલું! કદાચ મારો અનુભવ અત્રે વર્ણવવોએ ઉપકાર નથી પણ સહજ પ્રયાસ છે. આ વ્યક્તિ દરેક મનુષ્યને એક પ્રેરણા આપે છે કે માણસે કોઇપણ સ્થિતિમાં નાસીપાસ ન થવું જોઈએ અને પોતાના માતાપિતાને દુઃખ પહોંચે એવું વર્તન ન કરવું જોઈએ.
Published by:Vinod Zankhaliya
First published:September 05, 2020, 14:25 pm