Home /News /madhya-gujarat /Gujarat Election 2022: ઠાસરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ, જુઓ આ બેઠક પર હારજીતના સમીકરણો
Gujarat Election 2022: ઠાસરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ, જુઓ આ બેઠક પર હારજીતના સમીકરણો
ઠાસરા વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ એટલે કે, 15 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે.
thasra assembly constituency: ઠાસરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને રામસિંહ પરમારનો દબદબો જોવા મળ્યો છે. જોકે ગત ચૂંટણીમાં રામસિંહ પરમારે કોંગ્રેસને રામ રામ કરતાં મતદારોએ પણ એમને બાય બાય કર્યું હતું.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં તમામ રાજકીય પાર્ટી પોતપોતાની રીતે સક્રિય થઇ ગઇ છે. ચૂંટણી આયોગ ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા મોટા કદાવર નેતાઓ પણ સમયાંતરે ગુજરાતની મુલાકાત લેતા રહે છે.
તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ ભાજપે વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે અને ચૂંટણી પહેલા અવારનવાર જાહેરાતો કરી રહ્યું છે. કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ગડમથલ કરી રહી છે. આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અમે ગુજરાત વિધાનસભાની વિવિધ બેઠકોનું વિશ્લેષણ કરીને તેનો ચિતાર તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે ઠાસરા વિધાનસભા બેઠક (Thasara assembly seat) વિશે ચર્ચા કરીશું.
ગુજરાતમાં 182 વિધાનસભા પૈકી ઠાસરા વિધાનસભા બેઠક 119 માં ક્રમાંકે છે. ઠાસરા વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મ એટલે કે, 15 વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે.
ઠાસરા બેઠક પર હારજીતના સમીકરણ
ઠાસરા બેઠક પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઈ પરમારે ભાજપ ઉમેદવાર રામસિંહ પરમારને હરાવ્યા હતા અને જીત મેળવી હતી. રામસિંહ પરમાર પહેલા કોંગ્રેસ નેતા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર રામસિંહ પરમારે ભાજપ ઉમેદવાર પ્રતિક્ષાબેન મ્હાત આપી હતી. તો વર્ષ 2007ની વિધાનસાભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ઉમેદવાર રામસિંહ પરમારે ભાજપ ઉમેદવાર ભગવાનસિંહ ચૌહાણને હરાવ્યા હતા.
રસુલપુરા (ઠાસરા), રાવળીયા, સૈયાંત, સલુણ, સેવાલિયા, સંધેલી, સંધેલીયા, શાહપુરા, શામળપુરા, સીમલજ, સુઇ, સુખીનીમુવાડી, ઉધમતપુરા, ઉંબા, ઉપલેટ, વજેવાલ, વલ્લવપુરા, વણોતી, વિંઝોલ, વિઠ્ઠલપુરા, આ તમામ ગામોનો ઠાસરામાં સમાવેશ થાય છે.
કાંતિભાઈ પરમાર પર હુમલો
ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિત ત્રણ લોકો પર વર્ષ 2019માં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો થયો હતો.
હુમલો કરવામાં આવ્યો તે સમયે કાંતિભાઈ પરમાર પોતાની ગાડીમાં હતા. 8થી વધુ લોકો તીક્ષ્ણ હથિયાર સાથે આવી પહોંચ્યા હતા અને હુમલો કર્યો હતો. કાંતિભાઈ પરમાર સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જમીન વિવાદ મામલે ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
કાંતિભાઈ Vs રામસિંહ પરમાર વિવાદ
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઠાસરા વિધાનસભા ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે રામસિંહ પરમારને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. જેના કારણે ઠાસરા વિસ્તારમાં વર્ષો સુધી ભાજપની સેવા કરનાર કાંતિભાઇ પરમાર નારાજ થયા હતા. જેથી કાંતિભાઇ પરમારે રામસિંહના ભાજપ જોડાણ સામે બળવો કર્યો હતો અને કેસરિયા બ્રિગેડ ભાજપને રામરામ કરીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
ઠાસરા વિધાનસભા બેઠક પર રામસિંહ પરમારનું ખૂબ જ પ્રભુત્વ રહ્યું છે. રામસિંહ પરમાર 90ના દાયકાથી સત્તા ભોગવતા અને સત્તાધારી ભાજપને હંફાવતા હતા. વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભગવાનસિંહ ચૌહાણે કોંગ્રેસના રામસિંહ પરમારને પરમારને હરાવ્યા હતા.
વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં રામસિંહ પરમારે ભગવાનસિંહને હાર આપી ફરી પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું હતું. વર્ષ 2018માં ભાજપ દ્વારા રામસિંહ પરમારની ગુજરાત કો-ઑપેરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરશન (જીસીએમએમએફ)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
ઠાસરા વિધાનસભા બેઠક પર મતદારોનું પ્રભુત્વ
ઠાસરા વિધાનસભા બેઠક પર OBC મતદાર, મુસ્લિમ મતદારો પ્રભુત્વ ધરાવે છે.
પંચમહાલ લોકસભા બેઠક
પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવાહરફ (ST), ગોધરા અને કલોલ વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર રતનસિંહ રાઠોડે કોંગ્રેસ ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણને જંગી બહુમતીથી હરાવ્યા હતા.
ઠાસરા બેઠકની સમસ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પીવાના પાણી તથા દુષિત પાણીની સમસ્યાઓને કારણે સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીઓને સહન કરવી પડે છે. જૂની મુખ્ય પાણીની ટાંકી તોડી પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રેતી, માટી તેમજ દૂષિત પાણીની સમસ્યા જોવા મળે છે.
ઠાસરામાં વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ઠાસરામાં ગટરો ઉભરાતા સ્થાનિક રહીશો તેમજ આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ અને રોગચાળાના ભયમાં જીવી રહ્યા છે. રહીશો સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યાં છે.
નૂપુર શર્મા વિવાદ અને ઠાસરા
ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણી કરી હતી. જેને કારણે ઠાસરા, ગળતેશ્વર અને કઠલાલ તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તાલુકાના મુસ્લિમ વિસ્તારોના બજારો મુસ્લિમો ભાઇઓએ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્ર આપીને બે કોમ વચ્ચેનું વિશ્વાસનું વાતાવરણ તોડનારા સામે કડક પગલા ભરવાની માગ કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, નુપુર શર્માએ શાંત પાણીમાં પથરા નાખી અવિશ્વાસના વમળો પેદા કર્યા છે. આવા લોકોને દેશદ્રોહી જાહેર કરવા જોઈએ, દેશ વિકાસના પંથે આગળ વધતો હોય ત્યારે આવા લોકો વિઘ્ન પેદા કરી રહ્યા છે. આવા લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.