ન્યૂઝ18 ગુજરાતીઃ આગામી 7 માર્ચના દિવસે ધોરણ-10 અને ધોરણ - 12ની બોર્ડની પરીક્ષા શરુ થવા જઇ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ સહિત માતા-પિતા પણ ટેન્શનમાં આવી ગયા હોય એવો માહોલ સર્જાયો છે. વાલીઓ પાતના સંતાનોને પરીક્ષા માટે તૈયારીઓમાં લાગેલા છે ત્યારે દાહોદના એક વિદ્યાર્થીએ પરીક્ષાના ટેન્શનમાં આત્મહત્યા કરી લીધી હતી.
આગામી ધો.12ની બોર્ડ પરીક્ષા આવતી હોવાથી ટેન્શનમાં રહેતા દાહોદ તાલુકાના વાંદરિયા ગામના ધોરણ-12ના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇને મોતને વ્હાલું કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના વાંદરિયા ગામે રહેતા 41 વર્ષીય રાજેશભાઇ હુરસીંગભાઇ બિલવાળનો પુત્ર અંકીત આગામી ધોરણ 12ની પરીક્ષા આવતી હોવાથી ટેન્શનમાં જ રહેતો હતો. અને છેલ્લા કેટલાય સમયથી ગુમસુમ રહેતો હતો. તેને અગમ્ય કારણોસર તા. 1ના રોજ ગળે સફેદ કલરનો રૂમાલ બાંધી ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું હતું.