આજના આધુનિક યુગમાં પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી રહ્યાં છે, એટલું જ નહીં આ અંધશ્રદ્ધાને કારણે ઘણીવાર નિર્દોષોનો ભોગ લેવામાં આવે છે. આવી જ એક ઘટના છોટાઉદ્દેપુરમાં બની છે. અહીં એક મહિલાની ડાકણ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી.
પ્રાથમિક વિગત પ્રમાણે છોટાઉદ્દેપુર તાલુકાના ભોરદા ગામે એક મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી, બાદમાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચતા જ જોવા મળ્યું કે હત્યા કરાયેલા મહિલાનું માથું ધડથી કાપી નાખવામાં આવ્યું હતું. બાદમાં માથું જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી. જેમાં સૌપ્રથમ એક શકમંદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ કરાતાં તેણે સમગ્ર બનાવની હકીકત જણાવી હતી. જેમાં તેણે જણાવ્યું મહિલા ડાકણ હોવાની શંકાએ હત્યા કરવામાં આવી હતી. સોમવારની રાત્રે મહિલા જ્યારે ઘરમાં સૂઇ રહી હતી ત્યારે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.