Home /News /madhya-gujarat /શું સંખેડા બેઠક પર વિકાસના મુદ્દે થશે સત્તા પરિવર્તન? જાણો સંખેડા બેઠક અને તેના પ્રશ્નો વિશે
શું સંખેડા બેઠક પર વિકાસના મુદ્દે થશે સત્તા પરિવર્તન? જાણો સંખેડા બેઠક અને તેના પ્રશ્નો વિશે
Sankheda assembly constituency : છોટા ઉદેપુર જીલ્લામાં આવતા સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આદિવાસી જાતિનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં કોઈપણ પક્ષની હારજીતમાં આ જ્ઞાતિના મતદારોનો સૌથી મોટો ફાળો માનવામાં આવે છે. હાલ આદિવાસી બહુમતિ ધરાવતી સંખેડા બેઠક ભાજપના હાથમાં છે.
Sankheda assembly constituency : છોટા ઉદેપુર જીલ્લામાં આવતા સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આદિવાસી જાતિનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં કોઈપણ પક્ષની હારજીતમાં આ જ્ઞાતિના મતદારોનો સૌથી મોટો ફાળો માનવામાં આવે છે. હાલ આદિવાસી બહુમતિ ધરાવતી સંખેડા બેઠક ભાજપના હાથમાં છે.
રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)ની તૈયારીઓ શરૂ થઈ છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ પક્ષો તો પોત પોતાની તૈયારી કરી રહ્યાં છે, તેની સાથે જ હવે ચૂંટણી કમિશને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના રણકાર વચ્ચે રાજકીય પાર્ટીઓના નેતાઓના ગુજરાતમાં રાઉન્ડ શરૂ થયા છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે છોટાઉદેપુરની સંખેડા બેઠક (Sankheda assembly seat) વિશે વાત કરીશું.
સંખેડા ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર પર આવેલા છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક છે. ઓરસંગ નદી અને ઉચ્છ નદીના કાંઠે વસેલું છે. સંખેડા છોટાઉદેપુરથી ૫૫ કિમી દૂર આવેલું છે. આ ગામ સંખેડા રાચરચીલા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. વિશિષ્ટ ચિત્રો અને લીકર વકાથી બનતા ફર્નિચરની સમગ્ર ગુજરાતમાં અનેરી ઓળખ ઉભી કરી છે.
ઓરસંગ અને ઉચ્છ નદીના કાંઠે વસેલા સંખેડાનું રાજકીય મહત્વ પણ રહેલું છે. આ બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પૈકી 139 નંબરની બેઠક છે. સંખેડા વિધાનસભામાં સંખેડા તાલુકા, નસવાડી તાલુકા અને બોડેલી તાલુકાના એમ ત્રણ તાલુકાના થઈ કુલ 402 ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર વર્ષ 2017 ના આંકડા પ્રમાણે આશરે 253405 મતદારો હતા, જેમાં 130382 પુરૂષ, 123020 મહિલા અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
જાતિગત સમીકરણ
છોટા ઉદેપુર જીલ્લામાં આવતા સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આદિવાસી જાતિનુ પ્રભુત્વ જોવા મળે છે. અહીં કોઈપણ પક્ષની હારજીતમાં આ જ્ઞાતિના મતદારોનો સૌથી મોટો ફાળો માનવામાં આવે છે. હાલ આદિવાસી બહુમતિ ધરાવતી સંખેડા બેઠક ભાજપના હાથમાં છે.
રાજકીય સમીકરણ
સંખેડાની જનતાએ 1995થી અત્યાર સુધીમાં દર 5-10 વર્ષમાં સત્તા પરિવર્તન કર્યું છે. છેલ્લી બે ટર્મના પરિણામ પર નજર કરીએ તો વર્ષ 2012માં સંખેડા બેઠક પર કોંગ્રેસના ધીરુભાઈ ભીલને 80 હજાર 579 મત મળ્યા હતા. જ્યારે ભાજપના અભેસિંહ તડવીને 79 હજાર 127 મત મળ્યા હતા એટલે કે માત્ર 1452 મતે અભેસિંહને હારનો સામનો કરવો પડયો હતો.
જોકે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભેસિંહ તડવીએ 90 હજાર 200 જેટલા જંગી મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધીરુભાઈ ભીલને 77 હજાર 351 મત મળ્યા હતા. અહીં અભેસિંહ 12 હજાર 849 મતે ચૂંટણી જીત્યા હતા.
હાર-જીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
તડવી અભેસિંહ
બીજેપી
2012
ભીલ ધીરુભાઈ
આઈએનસી
2007
તડવી અભેસિંહ
બીજેપી
2002
તડવી કાંતાભાઈ
બીજેપી
1998
તડવી બાબરભાઈ
આઈએનસી
1995
તડવી બાબરભાઈ
આઈએનસી
1990
તડવી બાબરભાઈ
જેડી
1985
તડવી ભાઈજી
આઈએનસી
1980
તડવી ભાઈજી
આઈએનસી
1975
તડવી ભાઈજી
કેએલપી
1972
પટેલ ચીમનભાઈ
આઈએનસી
1967
સી જે પટેલ
આઈએનસી
1962
વસાવા ચંદુલાલ
આઈએનસી
ચૂંટણી જીતતા પહેલા ધારાસભ્યએ શું આપ્યા હતા વચન?
અભેસિંહ તડવીએ મત માગવા સમયે વચનોની લ્હાણી કરી હતી. જેમાં સિંચાઈના પાણી પુરા પાડવા, રોજગારી માટે GIDC, ડુંગર વિસ્તારમાં માર્ગોના કાર્ય, વિદ્યાર્થીઓ માટે કોલેજ, હોસ્ટેલની સુવિધા, નળથી જળ યોજના, ટેન્કર મુક્ત વિધાનસભા, નવી સરકારી શાળા ખોલવા અને ગ્રામ્ય વિસ્તારમાં બસની સુવિધા પુરી પાડવાનું વચન આપ્યું હતું. જોકે એવું લાગી રહ્યું છે કે અભેસિંહ આ તમામ વચનો પુરા કરી શક્યા નથી. સ્થાનિકોનું કહેવું છે કે, 1 વર્ષથી પાણીની ટાંકી બનાવી, ઘરે ઘરે નળ નાખ્યા પણ પાણી નથી આવતું.
સંખેડાના સૌથી મોટા પ્રશ્નો
સંખેડા વિધાનસભા લોકો માટે સૌથી મોટો પ્રશ્ર રોજગારીનો છે. આ વિસ્તારમાં એક પણ GIDC નથી. જેના કારણે શિક્ષિતોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. સંખેડાથી લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાં રોજગારી માટે જવું પડે છે. આ સાથે જ અહીંના ખેડૂતોને રોજિંદા ધોરણે સિંચાઈ માટે પાણી પણ આપવામાં આવતુ નથી.
અહીં સિંચાઈની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને રોજી રોટી માટે સૌરાષ્ટ્રમાં જવું પડે છે. અહીંનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. સિંચાઈ માટે નર્મદાનું પાણી બોડેલી અને સંખેડા તાલુકા સુધી પહોંચ્યું પણ નસવાડીના ગામડાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી.
તાલુકાની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ છે. ધારાસભ્ય દ્વારા અંતરિયાળ ગામમાં વિકાસના તમામ દાવા ખોટા ઠર્યા છે. અહીંના લોકોને નિયમિત વિજળી નથી મળતી તો રસ્તાની સુવિધા નથી. જે રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં જોવા મળે છે.
શિક્ષણના ક્ષેત્રે પણ અહીં વિકાસ માત્ર કાગળો પર જ જોવા મળે છે. અહીંની શાળાઓમાં શિક્ષકો પુરતા પ્રમાણમાં નથી. જેથી આ વિસ્તારમાં શિક્ષણ સ્તર ઘણું નીચું છે. વિદ્યાર્થીઓ માટે સરકારી હોસ્ટેલનો અભાવ છે, અહીં એક પણ સાયન્સ કોલેજ નથી, જેના કારણએ ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને બહાર જવુ પડે છે.
ડુંગરાળ વિસ્તાર હોવાથી છેવાડાના ગામ સુધી રાજનેતાઓ કે અધિકારીઓ પહોંચતા જ નથી.
ઉનાળો આવતા જ અંતરિયાળ ગામમાં પીવાના પાણી માટે લોકોને ફાંફા મારવા પડે છે.
સંખેડા વિધાનસભામાં ગામોમાં સરકારે પ્રાથમિક આરોગ્ય કેદ્ર અને પેટા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા છે. પણ તેમાં સ્ટાફની અછતા જોવા મળે છે.
મત વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પાકા રસ્તા બનાવાયા તો છે પણ રોડનું કામ એટલું નબળું છે કે રોડના પોપડા ઉખડી જાય છે.
વીજળી માટે 66 સબસ્ટેશન સેન્ટર પણ બનાવાયા છે થતા વિજળી ગુલ રહે છે. પાણી માટે ટાંકી બનાવાઈ છે છતા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે.
વાસમો પ્રોજેક્ટ અંતર્ગત ઘર ઘર નળ તો લાગી ગયા પણ પાણી હજુ સુધી નથી આવતું.
ભાજપ સરકારમાં કોઈ વિકાસ થયો નથીઃ કોંગ્રેસ
તો આ તરફ ગત ચૂંટણીમાં હારેલા કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ ભીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારમાં કોઈ વિકાસ થયો નથી. ન તો પ્રજાના હિતમાં કોઈ કાર્યો કર્યા છે. આગામી ચૂંટણીમાં જનતા તેમને પાઠ ભણાવશે.
છોટાઉદેપુર રાજ્યના છેવાડે આવેલો અને આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. જોકે, જિલ્લામાં હજુ પણ વિકાસ શોધ્યો નથી જડતો. સંખેડાના ધારાસભ્ય ભલે મોટા દાવાઓ કરી રહ્યા હોય પણ જનતામાં ક્યાંક તો નારાજગી પ્રસરી રહી છે. અધૂરા કાર્યો અને વચનો પર ખરા ન ઉતરતા હવે સંખેડાની જનતા ફરી એકવાર અભેસિંહને તક આપે છે કે કોઈ નવા ચહેરા પર પોતાની પસંદગી ઉતારે છે તે તો આગામી સમયમાં જ જાણી શકાશે.