Home /News /madhya-gujarat /છોટાઉદેપુરઃ 'ભાતીગળ' રીતે કોંગ્રેસના રહેલા આ જિલ્લામાં ભાજપ માટે કપરાં ચઢાણ?

છોટાઉદેપુરઃ 'ભાતીગળ' રીતે કોંગ્રેસના રહેલા આ જિલ્લામાં ભાજપ માટે કપરાં ચઢાણ?

ગીતાબેન રાઠવા, રણજીતસિંહ રાઠવા

વર્ષ-2014મા ભાજપના રામસિંગ રાઠવા સતત બીજી ટર્મ માટે 1,79,729 મતોથી વિજયી બન્યા હતા. જયારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 3 બેઠક પર ભાજપ અને 4 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.

ન્યૂઝ18 ગુજરાતી : આદિવાસી બાહુલ્ય ધરાવતો અને ગુજરાત તથા મધ્યપ્રદેશની સરહદે આવેલો છોટા ઉદેપુર જિલ્લો 'વિકાસ' શબ્દ અને તેની અસરથી સમગ્રતયા 'વંચિત' છે. આ વિસ્તારમાં પાયાની જરૂરિયાતોનો પણ ઘણો અભાવ છે. રોજગારી, ઉદ્યોગો અને મૂળભૂત વ્યવસ્થાને ઝંખતા આ જિલ્લામાં ભલે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસનો દબદબો રહ્યો હોય કિન્તુ છેલ્લી બે ટર્મથી અહીં ભાજપે સુનિયોજિત ઢબે પગપેસારો કરી લીધો છે. રામસિંહ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા જેવા નેતાઓનું અહીં ભારે વર્ચસ્વ રહ્યું છે.

વર્ષ-2014મા ભાજપના રામસિંગ રાઠવા સતત બીજી ટર્મ માટે 1,79,729 મતોથી વિજયી બન્યા હતા. જયારે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લાની 3 બેઠક પર ભાજપ અને 4 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.

શું છે મુખ્ય સમસ્યાઓ?

છોટાઉદેપુર મુખ્યત્વે પહાડી વિસ્તાર છે અને અહીં સિંચાઇના પાણીની સૌથી મોટી સમસ્યા છે. અહીંની ખેતી વરસાદ આધારિત અને પરિપક્વ ન હોઈ, મકાઇ મુખ્ય પાક છે. રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં ખેતી છે ત્યાં મજૂરી કરતા લોકોમાં છોટાઉદેપુરના આદિવાસીઓને મોટા પ્રમાણમાં છે. જે દર્શાવે છે કે અહીં રોજગારી માટે ઉદ્યોગો નથી.

ડોલામાઇટનો વ્યવસાય છે પરંતુ તે પુરતી રોજગારી પૂરી પાડી શકતો નથી. આ જિલ્લામાં મોટી હોસ્પિટલની સુવિધા ન હોવાના કારણે સ્થાનિકોને વડોદરા સુધી સારવાર માટે આવવું પડે છે. શૈક્ષણિક જાગૃતિ આવી છે, પરંતુ સારી શૈક્ષણિક સંસ્થાઓ ન હોવાથી આજુબાજુના જિલ્લાઓમાં વધુ અભ્યાસ માટે જવું પડે છે.



જાતિગત સમીકરણો:

આ લોકસભા બેઠક ઉપર 66 ટકા આદિવાસી મતદારો છે. આ ઉપરાંત પાટીદાર, ક્ષત્રિય અને મુસ્લિમોની વસતી પણ નોંધપાત્ર છે.

આ પણ વાંચો : સુરત: આ વર્ષે મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસી પાટીદારો વચ્ચે લડાઈ

વર્તમાન સાંસદનું રિપોર્ટ કાર્ડ :

સાંસદ રામસિંહ રાઠવાને 5 વર્ષમાં 25 કરોડની ગ્રાન્ટ મળી હતી. જેમાંથી તેમણે 21.56 કરોડના વિકાસના કામો માટે ગ્રાન્ટ વાપરી છે. રામસિંગ રાઠવા રોજગારી, નર્મદાનું પીવાનું પાણી, જીઆઈડીસી સ્થાપીત કરવા જેવા વાયદાઓ હજી પૂરા કરવામાં નિષ્ફળ નિવડ્યા હોવાની છાપ છે.

કોની વચ્ચે છે જંગ?

આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવા છે, જયારે ભાજપે રામસિંગ રાઠવા સામે વધી ગયેલી નારાજગીના લીધે જિલ્લા પંચાયતના સભ્ય ગીતાબેન રાઠવા પર પસંદગી ઉતારવામાં આવી છે. કહેવાય છે કે, ગીતાબેન રાઠવા ગ્રાસરૂટના કાર્યકર હોવાની સાથે સ્થાનિક સ્તરે તેમના કાર્યોથી ભારે લોકપ્રિય છે.

અનુમાન

રામસિંહ રાઠવાની નિષ્ક્રિયતાને મતદારો યાદ રાખે અને મોહનસિંહના પુત્ર હોવાના નાતે રણજિતસિંહ તરફનો ઝુકાવ વધે તો આ બેઠક ઉપર કોંગ્રેસ ફરીથી નવાજુની કરી શકે તેવી પ્રબળ શક્યતા છે.
First published:

Tags: Lok sabha election 2019, કોંગ્રેસ, ભાજપ