ન્યૂઝ18 ગુજરાતી : આંકલાવ તાલુકાનાં ઉમેટા બ્રિજ પરથી 23 વર્ષનાં યુવક જીજ્ઞેશ ચૌહાણે નદીમાં કુદીને આપઘાત કર્યો હતો. તેણે અંતિમ પગલુ ભરતા પહેલા પોતાની પિતરાઇ બહેનને ફોન કરીને આ વાતની જાણ કરી હતી. યુવકે વીડિયો કોલ કરીને બહેનને કહ્યું હતું કે, 'બેન મારૂં મો જોઇ લે હું આ બ્રિજ પરથી કુદવાનો છું.' મંગળવારે આ યુવાને નદીમાં છંપલાવ્યું હતું. બુધવારે ભારે જહેમત બાદ તેનો મૃતદેહ મળ્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકના પિતરાઈ ભાઈ વિષ્ણુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના સોખડાખુર્દ ગામમાં 23 વર્ષનો મારા મામાનો પુત્ર જીજ્ઞેશ ચૌહાણ રહતો હતો. તેના પિતા જીઈબીમાં લાઈનમેન છે અને માતા ગૃહિણી છે. તેને મારી બહેન રેખા સાથે સારૂ બનતું હતું. મંગળવારે સાંજે 6 કલાકની આસપાસ તે બાઈક લઈને બ્રિજ પર આવ્યો હતો. તેણે મોબાઈલ પરથી મારી બહેન રેખાને વીડિયો કોલ કરી ગંભીરા બ્રિજ પરથી કૂદૂ તેમ કહ્યું હતું. મારી બહેને તેને ઘણી આજીજી કરી હતી કે તું આવું ન કર. પરંતુ તે માન્યો ન હતો. જે બાદ મારી બહેને મને જાણ કરી હતી.
આ ઘટના અંગે મારી બહેને મને જાણ કરતાં જ હું ગંભીરા બ્રિજ પર ગયો હતો. પરંતુ ત્યાં તેની બાઇક પણ ન હતી કે તે પણ ન હતો. 2 કલાકની શોધખોળ બાદ મને ખબર પડી કે ગંભીરા બ્રિજ નહીં પણ ઉમેટા બ્રિજ પર હતો. બુધવારે સવારે આણંદ ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ તેનો મૃતદેહ શોધી કઢાયો હતો.