અમદાવાદ : સુરત (Surat)બાદ અમદાવાદમાં પણ જાહેરમાં છરીના ઘા ઝીંકીને મહિલાને મોતને (Murder in Ahmedabad)ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે શાકભાજી લેવા માટે ગયેલ મહિલાની હત્યા (Ahmedabad Murder)કરી દીધી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરે જ આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.
એક તરફ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની (International Women's Day)ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. મહિલાઓના સન્માન અને મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે મહિલાઓ સાથેના અત્યાચારના બનાવો સામે આવી ગયા છે તે એક હવે ખૂબ જ ગંભીર વિષય બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ગાંધીનગરમાં પણ આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. હવે અમદાવાદમાં પણ આવી ઘટના સામે આવી છે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભરચક વિસ્તારમાં અને પોલીસ સ્ટેશનથી માત્ર નજીવા અંતરમાં જ બે સંતાનની માતાને મોતને ઘાટ ઉતારી દીધી છે. લોકો આરોપીને પકડે તે પહેલાં જ આરોપી મહિલા ઉપર ઉપરાછાપરી છરીના ઘા મારીને ફરાર થઈ ગયો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા કરનાર વ્યક્તિ નવીન રાઠોડ છે. આરોપી નવીન રાઠોડ તેમજ મૃતક મહિલા આશાબેન બોડાણા બંન્ને એક જ વિસ્તારમાં રહે છે. યુવક આશાબેન સાથે એક તરફી પ્રેમમાં પાગલ થયો હતો. આ મહિલાને તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે યુવક નવીન રાઠોડને લાગી આવતા તેને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા. ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીંકી જાહેરમાં તેની હત્યા કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં આરોપી કેટલી નિર્દયતાથી એક પછી એક છરીના ઘા મારી રહ્યો છે તે જોવા મળી રહ્યું છે. વિશ્વ મહિલા દિવસે જ એક મહિલાની જાહેરમાં હત્યા કરવામાં આવી અને આજુબાજુના લોકો માત્ર તમાશો જોતા રહી ગયા હતા. ત્યારે સોશિયલ મીડિયાથી બહાર નિકળી વાસ્તવમાં મહિલાને સન્માન આપવામાં આવે તે જરૂરી છે.