Home /News /madhya-gujarat /અમદાવાદ: NSUIના કાર્યકરો BRTS બસની ચાવી લઈને ભાગ્યા, ઝપાઝપીમાં પોલીસનો ડ્રેસ ફાટ્યો

અમદાવાદ: NSUIના કાર્યકરો BRTS બસની ચાવી લઈને ભાગ્યા, ઝપાઝપીમાં પોલીસનો ડ્રેસ ફાટ્યો

NSUIનો વિરોધ.

ભારત બંધની જાહેરાત વચ્ચે અમદાવાદમાં BRTS અને AMTS બસ સેવા ચાલુ રહી, અમદાવાદમાં બંધને નહિવત પ્રતિસાદ.

અમદાવાદ: ભારત બંધ (Bharat Bandh)માં અમદાવાદ શહેર (Ahmedabad City) ધમધમતું રહ્યું છે. એક બે ઘટનાઓને બાદ કરતા શહેર રાબેતા મુજબ ધમધમતું રહ્યું છે. આ દરમિયાન કૉંગ્રેસ (Gujarat Congress)ના કાર્યકરોએ દેખાવો કર્યા હતા. કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના કાર્યકરો પણ અનેક ઠેકાણે વિરોધમાં ઉતર્યાં હતા. જોકે, પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. બીજી તરફ વિરોધ કરે તે પહેલા જ પોલીસે અનેક કૉંગ્રેસી નેતાઓને નજરકેદ કરી લીધા હતા. તો NSUIના કાર્યકરો બીઆરટીએસની બસોને ચાવી લઈને ભાગી ગયાનો બનાવ પણ બન્યો હતો.

બીઆરટીએસ અને એએમટીએસ ચાલુ રહી

અમદાવાદમાં બંધની જાહેરાતને પગલે BRTS અને AMTSની સેવા શરૂ રહી હતી. આ દરમિયાન NSUI તરફથી યુનિવર્સિટી ચાર રસ્તા પાસે આવેલી પાસપોર્ટ ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં ટાયર સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ દરમિયાન કાર્યકરોએ બીઆરટીએસની ત્રણ બસોની ચાવી કાઢી લીધી હતી. જે બાદમાં પ્રવાસીઓએ ડ્રાઇવરની સીટ પરથી કૂદીને નીચે ઉતાર્યાં હતાં. NSUIના કાર્યકરો ચાવી લઈને ભાગી જતાં ત્રણેય બસના મુસાફરો અટવાયા હતા.

પોલીસનો ડ્રેસ ફાટ્યો

બીઆરટીએસની ચાવી કાઢીને ભાગી રહેલા NSUIના કાર્યકરને પકડવા માટે એક પોલીસકર્મી દોડ્યા હતા અને કાર્યકરને કમરથી પકડી લીધો હતો. જોકે, આ દરમિયાન કાર્યકર કારમાં બેસીને પલાયન થઈ ગયો હતો. આ ઝપાઝપી દરમિયાન પોલીસકર્મીનો ડ્રેસ ફાટી ગયો હતો. બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરનો ખેસ પોલીસના હાથમાં જ રહી ગયો હતો.

AMTS બસ પર ચઢી વિરોધ

ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસે એનએસયુઆઈ તરફથી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ પાસે એનએસયુઆઈના કાર્યકરો બસ પર ચઢી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. જે બાદમાં પોલીસ દોડી આવી હતી અને તમામને બસ પરથી નીચે ઉતારીને ચાર કાર્યકરોની અટકાયત કરી હતી. તો યુનિવર્સિટી પાસે જ એનએસયુઆઈના કાર્યકરોએ ટાયર સળગાવીને ટ્રાફિકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ ટ્રાફિકને રાબેતા મુજબ કરાવ્યો હતો.

આ પણ જુઓ-
" isDesktop="true" id="1053085" >

અમદાવાદમાં જનજીવન સામાન્ય

કૃષિ બિલના વિરોધમાં આપવામાં આવેલા બંધની અમદાવાદમાં નહિવત અસર જોવા મળી હતી. એકદંરે શહેરમાં જીનજીવન સામાન્ય રહ્યું હતું. અમુક લોકોએ જ બંધને સમર્થન આપ્યું હતું. બપોર બાદ તો શહેરની તમામ માર્કેટ ખુલ્લી જોવા મળી હતી. વાહન-વ્યવહાર પણ પહેલાની જેમ જ જોવા મળ્યો હતો.
First published:

Tags: Bharat Bandh, BRTS, અમદાવાદ, એએમટીએસ, એનએસયુઆઇ, કોંગ્રેસ, પોલીસ