અમદાવાદ : અમદાવાદ જિલ્લા (Ahmedabad District)માં 17મી તારીખ સુધી કોરોના વાયરસના કુલ 8,420 કેસ નોંધાયા છે, જ્યારે 2,660 લોકો સાજા થયા છે. બીજી તરફ જિલ્લામાં કોરોના (Coronavirus)ને કારણે 524 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસ (Corona Positve Cases) અને મોતના કેસમાં મોટાભાગના દર્દીઓ અમદાવાદ શહેરના છે. કોરોનાને પ્રસરતો રોકવા માટે અમદાવાદ શહેરમાં નવ દિવસ માટે સજ્જડ લૉકડાઉન જાહેર કરીને એક ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝૂંબેશ શહેરમાંથી સુપર સ્પ્રેડર્સ શોધવાની હતી. કોર્પોરેશન તરફથી આ 709 સુપર સ્પ્રેડર્સની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પોઝિટિવ દર્દીની તમામ માહિતી આપવામાં આવી છે.
સુપર સ્પ્રેડર્સ એટલું શું?
સુપર સ્પ્રેડર્સ એટલે એવા લોકો જેમના કારણે અનેક લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. અમદાવાદના કમિશનર તરીકે મુકેશ કુમારે ચાર્જ લીધા બાદ આવા સુપર સ્પ્રેડર્સને શોધવા માટે ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી. જે અંતર્ગત શાકભાજીની લારીવાળા અને કરિયાણાની દુકાનો ધરાવતા લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આ ઝૂંબેશમાં શહેરમાંથી 709 સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવામાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ લોકોની યાદી જાહેર કરવામાં આવી છે.
હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ અપાયા
અમદાવાદમાં શાકભાજીના લારીવાળાઓએ અનેક લોકોને કોરોના ફેલાવ્યાની માહિતી બાદ શહેરના તમામ શાકભાજીની લારી ધરાવતા લોકોનું સ્ક્રિનિંગ કરીને તેમને હેલ્થ કાર્ડ અપાયા છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે આ લોકો પાસેથી જ શાકભાજીની ખરીદી કરવી. બીજી તરફ આ હેલ્થ કાર્ડ ધરાવતા લોકો જ શાકભાજી અને કરિયાણાનું વેચાણ કરી શકશે તેવું ફરજિયાત કરાયું છે. આ કાર્ડ દર સાત દિવસે રિન્યૂ કરવામાં આવે છે. એટલે કે સાત દિવસ બાદ જો કોઈને કોરોનાના લક્ષણો દેખાતા હોય તે તેને સારવાર માટે ખસેડી શકાય અને તેની લારી કે દુકાન બંધ કરાવી શકાય. આવું કરવાથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.
Published by:News18 Gujarati
First published:May 18, 2020, 20:14 pm