અમદાવાદ : રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસ અને એક બાજુ ખૂબ મોટી આફત એવી વાવાઝોડું ગમે ત્યારે ત્રાટકવાની ઘડીમાં છે. મુસીબતોની અનેક મથામણો વચ્ચે લોકો ડરમાં છે. પણ બોસ ડરી જાય એ ગુજરાતી નહીં! આપણે જાણીતા છીએ ઉદ્યોગ સાહસિકતા માટે, સંસ્કૃતિ માટે આપણી ખમીરી માટે, આવા જ ખમીરવંતા ગુજરાતીઓએ આફતમાં પણ હસવાનો મોકો ગુમાવ્યો નથી. કોરોના અને વાવાઝોડાનાં કહેરમાં પણ ગુજરાતીઓએ હાસ્ય શોધી લીધું છે.
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહેલા આપણા રાજ્યને જાણે કે માંડ થોડા આંકડા ઓછા થતા રાહતનો શ્વાસ મળ્યો હતો એમાં પડ્યા માથે પાટું હોય વાવાઝોડું સર્જાયું. જોકે, છતાં ગુજરાતીઓ હસતાં રહ્યા, અલબત હસી રહ્યા છે.
શું તમને વરસાદ પછી ભીની માટીની સુગંધ આવી?
ફેસબૂક પર વાયરલ થયેલી પોસ્ટ
વાવાઝોડાની અસરથી વરસાદ પડ્યો અને શરૂ થઈ મજા.લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી 'જેને જેન વરસાદ પછી ભીની માટીની સુગંઘ આવી હશે એ બધા 'નેગેટિવ' આ લાઇન મીમ, પોસ્ટ અને વીડિયો સ્વરૂપે ખૂબ વાયરલ થઈ.
વાવાઝોડાનું સાચું નામ શું?
ફેસબૂક પેજ ગુજરાતી મીમ કૉમ્યુનિટી પર પોસ્ટ થયેલી એક પોસ્ટનો સ્ક્રિનગ્રેબ
આ ઉપરાંત વાવાઝોડાનાં નામમાં પણ ખૂબ મથામણ થઈ, વાવાઝોડાનું સાચુ નામ શું? 'તોકતે, ટાઉટે, ટોટે?' રાજ્યના ત્રણ પ્રમુખ અખબારોમાં આજે જુદા જુદા નામ છપાયા બાદ વાંચકોએ એની પણ મજાક કરી અને સોશિયલ મીડિયામાં મીમ વાયરલ થયા
માણસ હોય કે વાવાઝોડું દીવ ગયા પછી..
ટ્ટીટર યૂઝર ડૉ.હેમાંગ જોષીએ પોસ્ટ કરેલો જોક
આ વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાવવાનું છે, જેમાં વચ્ચે દીવ આવે છે. દીવ સંઘપ્રદેશ છે અને ત્યાં આલ્કોહોલ વેચાણની છૂટ છે. લોકોએ આને પણ મજાકમાં લીધું અને લખ્યું કે 'માણસ હોય કે વાવાઝોડું દીવ જાય ત્યાં સુધી વાંધો નહીં પછી નક્કી નહીં!'
કોરોના એક્સપર્ટ હવામાન શાસ્ત્રી બની ગયા
વાવાઝોડા માટે મીમર્સ કૉમ્યુનિટીના જુદા જુદા ફેસબૂક પેજ પર લોકોએ ખૂબ રચનાત્મકતા દર્શાવી. કોઈએ તો લખ્યું કે 'છેલ્લા કેટલાય દિવસોથી કોરોના એક્સપર્ટ બનેલા લોકો હવામાનશાસ્ત્રી બની ગયા'
ગુજરાતી મીમ કૉમ્યુનિટી પેજ પર યૂઝર મનન દવેએ પોસ્ટ કરેલું મીમ
અનેક અને અથાક મુસીબતોની વચ્ચે પણ લોકોએ વાવાઝોડાના ડરને કોરાણે મૂકીને હસવાનું શરૂ રાખ્યું છે. એક વાત એ પણ સત્ય છે કે ગંભીર સ્થિતિ સામે ગંભીરતા રાખવી જોઈએ અને ત્યાં હસવાનું ન હોય પરંતુ હાસ્ય માણસને હળવો રાખે છે. હાસ્ય જીવન ધબકતું રાખે છે અને એટલે જ હસવું જરૂરી છે.
જોકે, લોકો ભલે આ વાત હસવામાં લેતા હોય પરંતુ આ પ્રશ્ન છે તો વ્યાજબી જ કે 'વરસાદ પછી શું તમને ભીની માટીની સુગંધ આવી?'