ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ રાજ્યમાં ભૂમાફિયા (Land grabbers)ઓને અંકુશમાં લઇ ખેડૂતો અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવાની સંકલ્પબદ્ધતા સાથે 'ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ' (Gujarat land grabbing prohibition act)નો કડક અમલ કરતો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ કાયદાને આવકારતા ભાજપના ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor) મુખ્યમંત્રીનો આભાર માનતા રાજ્યના ભૂમાફિયાઓના પરિણામે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ઠાકોર સમાજ (Thakor samaj)ના ગરીબ ખેડૂતોની 25 હજાર કરોડની જમીન પચાવી પાડવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ગરીબ ઠાકોર સમાજના ખેડૂતો પાસેથી ભૂમાફિયાઓએ ખોટા પુરાવા ઊભા કરીને જમીન પડાવી લીધી હોવાના 50 જેટલા કેસ તેમની પાસે આવ્યા હોવાનો દાવો કરતા અલ્પેશ ઠાકોરે આ મામલે સરકાર પગલાં ભરે તેવી માંગણી કરી છે.
આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યુ હતું કે, "મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લાગૂ કરવામાં આવેલો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટ આવકાર્ય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરીબ લોકોની જમીન છીનવવામાં આવે છે. ભળતા નામ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી જમીન લઈ લેવામાં આવે છે. ખેડૂતોને એક દિવસ પહેલા પૈસા આપવામાં આવે છે બીજા દિવસે ભૂમાફિયા એ પૈસા પરત લઈ રહ્યા છે. આ પ્રકારના 50થી વધારે કેસ મારી પાસે આવ્યા છે. મોટા બિલ્ડરો, રાજકીય નેતાઓ અને મોટા અધિકારીઓની સિન્ડિકેટ ચાલી રહી છે. રાજ્ય સરકારે જ્યારે 21 દિવસમાં કાર્યવાહી માટે નિયમ કર્યો છે ત્યારે હું અપેક્ષા રાખું કે કાયદા પ્રમાણે કામ થશે."
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, "અમદાવાદ અને ગાંધીનગરમાં ઠાકોર સમાજની પચાવી પાડવામાં આવેલી 25 હજાર કરોડની જમીન માટે હું લડાઈ લડીશ. જરૂર પડે તો હું જાતે કલેક્ટર અને મુખ્યમંત્રીને રજુઆત કરીશ. હું પહેલી જાન્યુઆરીથી આ પ્રકારના બિલ્ડરોના નામની જાહેરાત કરીશ. અમદાવાદ પૂર્વે અને પશ્ચિમની પટ્ટીમાં એવા મોટા બિલ્ડરો છે કે જે પોતાને ખૂબ મોટા દાનવીર ગણાવે છે પરંતુ તેમણે ગરીબ ખેડૂતોને લૂંટ્યા છે. અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરીશું."
આ કાયદા અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સાત અધિકારીઓની કમિટીની રચના કરવાની રહેશે. દરેક તબક્કે તપાસ પ્રક્રિયાની સમય સીમા નક્કી કરાઇ છે. ફરિયાદ લાંબો સમય પડતર નહીં રહે. કમિટી સમક્ષ રજૂ થયેલા તપાસ અહેવાલ પર 21 દિવસમાં નિર્ણય કરવાનો રહેશે.
સરકારી જમીન પચાવી પાડવાની કે માથાભારે તત્વોએ જમીન પચાવી પાડી હોય તેવા કિસ્સામાં કમિટીના અધ્યક્ષ તરીકે કલેકટર અને રાજ્ય સરકાર જાતે સુઓમોટો પગલાં લઇ શકશે. વિશેષ અદાલત-સ્પેશિયલ કોર્ટ પણ સુઓમોટો સંજ્ઞાન લઇને જમીન હડપ કરનારાઓ સામે કાયદાનુસાર પગલાં લેવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાની સમિતીને તપાસ કરવા આદેશ-સૂચનાઓ આપી શકશે.
" isDesktop="true" id="1055658" >
જમીન હડપ કરવાના કેસોની ઝડપી સુનાવણી અને ભૂમાફિયાઓને કડક સજા માટે સ્પેશિયલ સ્થાપવામાં આવી છે. દરેક સ્પેશિયલ કોર્ટમાં એક સરકારી વકીલની નિમણૂક કરાશે. છ મહિનામાં વિશેષ કોર્ટમાં આવા કેસનો નિકાલ સુનિશ્ચિત કરાશે. વિશેષ અદાલતને દિવાની અને ફોજદારી બેય પ્રકારની અદાલતી કાર્યવાહી હાથ ધરવાની સત્તાઓ અપાશે. સામાન્ય માનવીને ઝડપી યોગ્ય ન્યાય અને કસૂરવાર ભૂમાફિયાને કડક સજા મળશે. આક્ષેપ ખોટા હોવાનું પૂરવાર કરવાની જવાબદારી ભૂમાફિયાના શીરે રહેશે.