ગીતા મહેતા, અમદાવાદ : કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમો લાગુ કર્યા છે જેનો તમામ રાજ્યોની સરકારે અમલ કરવાનો છે. ગુજરાત રાજ્યમાં પણ કેન્દ્રનાં પરિપત્રનાં અમલીકરણની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, રાજ્યમાં અંદાજે એક હજાર જેટલા પીયુસી સેન્ટર્સ છે. જે માંગનાં પ્રમાણમાં ઘણાં ઓછા છે. જેથી વધુ એક હજાર જેટલા પીયુસી સેન્ટર ખોલવા માટે રાજ્ય સરકાર મંજૂરીઓ આપવા માટે તલપાપડ છે. પીયુસી સેન્ટર ખોલવા માટેના અટપટા નિયમોને કારણે એક હજારની માંંગ સામે માત્ર 30 અરજી રાજ્ય સરકારને મળી છે. જેથી પીયુસીના નિયમો હળવા કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે. પીયુસીના નિયમોમાં વિશેષ સુધારા સાથેનો પરિપત્ર જાહેર કર્યો છે.
પીયુસી સેન્ટર ખોલવા માટે 2011ની 8 પાનાની એવી અટપટી ગાઇડલાઇન હતી કે જેને અનુસરવામાં ઓછામાં ઓછો છથી 12 મહિનાનો સમય આરામથી નિકળી જાય. આ અનુસર્યા પછી પણ જરૂરી નથી કે તમને આ મંજૂરી તરત જ મળી જાય. ત્યારે પીયુસી સેન્ટર ખોલવા જેની જરુરિયાત જ નથી તેવા નિયમો અત્યાર સુધી હતાં. જે મુદ્દે રહી રહીને હવે સરકારની આંખો ઉઘડી છે. પીયુસી સેન્ટર ખોલવુ હોય તો અંદાજે 8 પાના જેટલા અધધ જેટલા નિયમો ફોલો કરવા પડતા હતા. જેમાં કેરેક્ટર સર્ટિફિકેટ, પીયુસી સેન્ટર ખોલવાની પરમિશન મળ્યા પહેલા પીયુસી મશીનની ખરીદી, બેન્ક તરફથી સધ્ધરતાનુ સર્ટિફિકેટ , દુકાનનો ભાડા કરાર જેવા ધણાં જ બિનજરુરી નિયમોનો સમાવેશ થતો હતો.
પીયુસીની નવી ગાઇડલાઇનનો પરિપત્ર રાજ્યના વાહનવ્યવહાર વિભાગે બહાર પાડયો છે. ત્રણ પાનનાં આ નવા પરિપત્ર થકી અડધો અડધ જેટલા નિયમો વિભાગે કમી કરી નાંખ્યા છે. જેમાં અરજદારે અરજી સાથે માત્ર ત્રણ પૂરાવા રજૂ કરવાના રહેશે અને તાત્કાલિક પૂરાવા ના રજૂ કરી શકે તેમ હોય તો બાંહેધરી પત્રકથી પણ કામ ચાલી શકશે.
1- સેન્ટરની જગ્યા માલિકીની અથવા લીઝ પર લીધેલી હોવી જોઇએ. 2-અરજદારે ઓછામાં ઓછા 1 ગેસ એનલાઇઝર અથવા એક ધુમાડાનું મીટર કોમ્પ્યુટર જોડાણ કેમેરા સાથે ફીટ કરેલું હોવું જોઇએ. 3- ટેકનિશિયન ધોરણ 10 પાસ તથા ટેકનિકલ કોર્સ પાસ કરેલો હોવો જોઇએ.
અરજદારની અરજી મંજૂર થયા બાદ અરજદારે આ વાતોની બાંહેધરી આપવી પડશે.