ન્યૂઝ18 ગુજરાતી : હૉટલોમાં સ્વચ્છતાને લઈને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે અન્વયે હવેથી કોઈ પણ સામાન્ય નાગરિક કોઈ પણ હૉટલ, રેસ્ટોરન્ટ કે કેન્ટિનના રસોડામાં પ્રવેશ કરીને સ્વચ્છતાની તપાસ કરી શકશે. સામાન્ય રીતે હૉટલો, કેન્ટિનો કે રેસ્ટોરન્ટના રસોડા બહાર 'નૉ એન્ટ્રી'ના બૉર્ડ લાગેલા જોવા મળતા હોય છે. હવેથી કિચન બહાર આવા બૉર્ડ પણ નહીં રાખી શકાય.
આ મામલે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવેથી રેસ્ટોરન્ટ કે હૉટલોમાં રસોડામાં કાચની બારી કે દરવાજો પણ મૂકવો પડશે. ગ્રાહકો બહારથી રસોડાની અંદર જોઈ શકે તે માટે આવો આદેશ કરવામાં આવ્યો છે.
પરિપરત્રમાં શું લખવામાં આવ્યું છે?
ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર વતી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ છઠ્ઠી નવેમ્બરના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ પત્ર તમામ જિલ્લાના અધિકારીઓ તેમજ અમદાવાદ સહિત રાજ્યના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેઝીગ્નેટેડ ઓફિસરોનો મોકલવામાં આવ્યો છે.
પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, "હૉટલ, રેસ્ટોરન્ટના રસોડા બહાર લગાવેલા "Admission only with permission" જેવા બોર્ડ દૂર કરવાના વિષય અન્વયે આ તંત્રના તાબા હેઠળના તમામ ડેઝીગ્નેટેડ ઓફિસરો (મ્યુ.કોર્પો સહીત) જણાવવાનું કે, તેઓના એરીયામાં આવેલ હૉટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન વગેરેની તાત્કાલીક તપાસ કરવી અને જે જગ્યાએ રસોડાની બહાર "No Admission without permission" અથવા "Admission only with permission" જેવા બોર્ડ લગાવેલા હોય તો તાત્કાલિક હટાવી દેવાની સૂચના આપવી. આ ઉપરાંત રસોડું સ્વચ્છ રાખવાની સૂચના આપવી. ગ્રાહકો રસોડાની અંદરનો ભાગ જોઇ શકે તે રીતે કાચની બારી અથવા દરવાજો મૂકવાની સૂચના આપવી."
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આવા પરિપત્ર બાદ હૉટલ અને રેસ્ટોરન્ટના માલિકો સ્વચ્છતા પ્રત્યે વધારે સજાગ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રસોડામાં ગ્રાહકો અંદર જોઈ શકે તે રીતે કાચ મૂકવાથી પણ હૉટલના માલિકો પર સ્વચ્છતા જાળવી રાખવા પર ભાર મૂકશે.