નવી દિલ્હી : ગુજરાતની 1984ની IPS બેચના બાહોશ અધિકારી રાકેશ અસ્થાનાને (Rakesh asthana) કેન્દ્ર સરકારે અતિ મહત્ત્વપૂર્ણ એવી બીએસફના ડીજી તરીકેની જવાબદારી (Director-General (DG) of the Border Security Force (BSF). સોંપી છે. આજે કેન્દ્રીય કેબિનેટ કમિટીએ સરકારની નિમણૂકને મંજૂરી આપી છે. રાકેશ અસ્થાના હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના નવા ડીજી તરીકે પદભાર સંભાળશે. અગાઉ તેમણે સીબીઆમાં મહત્ત્વપૂર્ણ પદ પર કામ કર્યુ હતું.
અનેક મહત્ત્વના કેસમાં કામ કર્યુ
રાકેશ અસ્થાના એક હાઇપ્રોફાઇલ અધિકારી છે. તેમણે અતિ મહત્ત્વના અનેક કેસોની તપાસ કરી છે. જેમાં કેટલાક કેસો અતિ સંવેદનશીલ હતા. આઇપીએસ અધિકારી તરીકે તેમણે ગોધરા કાંડ, લાલુ પ્રસાદ યાદવની ધરપકડ જેવા કેસોમાં કામગીરી કરી છે. અસ્થાના હાલમાં સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડીજી બ્યૂરો તરીકે કામ કરી રહ્યા હતા.
બીએસએફના ડીજી તરીકે પદભાર સંભાળ્યા બાદ અસ્થાના વર્ષ 2021 સુધી પદ પર રહેશે. જોકે, બીએસએફની સાથે સાથે તેઓ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ડીજી તરીકેનો અધિક ચાર્જ પણ સંભાળશે.
આ પણ વાંચો : રાજ્યમાં 24 કલાકમાં Coronaના નવા 1033 કેસ, 1083 દર્દી સાજા થયા, 15નાં મોત
'CBI vs CBI' કેસમાં ચર્ચાની એરણે
વર્ષ 2018માં 'CBI vs CBI'ની કહાણીમાં તેમનું નામ ચર્ચાની એરણે ચઢ્યું હતું. સીબીઆઈના પૂર્વ વડા આલોક વર્માએ તેમને એક કેસમાંથી તપાસ અધિકારી તરીકે હટાવ્યા હતા. વર્માએ અસ્થાના પર હૈદરાબાદના વેપારી પાસેથી રૂપિયા 2.95 કરોડની લાંચ લેવાનો આરોપ મૂક્યો હતો.
દરમિયાન એ સમયે અસ્થાનાએ વિજિલન્સ કમિશનને આલોક વર્મા વિરુદ્ધ એક પત્ર લખ્યો, એ પત્રમાં તેમણે વર્મા સામે 10 કેસમાં તપાસને અસર પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો. અસ્થાનાએ સામો આક્ષેપ મૂક્યો હતો કે સતિષ જે હૈદરાબાદનો વેપારી છે તેમણે આલોક વર્માને સીબીઆઈની કાર્યવાહી રોકવા માટે રૂપિયા 2 કરોડ ચુકવ્યા હતા. આ સમસ્યાઓ સર્જાઈ ત્યારબાદ આલોક વર્માને અને અસ્થાનાને સીબીઆઈમાંથી દૂર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પદ્મ વિભૂષણ પંડિત જસરાજનું 90 વર્ષની ઉંમરે અમેરિકામાં નિધન
(PTIના ઇનપૂટ સૌજન્ય સાથે)