અમદાવાદ : મણિનગરમાં 10 દિવસની બાળકીને ત્યજી દેવાના કિસ્સામાં પોલીસે એક મહિલા અને રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. પોલીસ 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને અનેક મહેનત કરી અને આખરે આરોપી સુધી પહોંચી હતી. આરોપી તો પકડાયા પરંતુ બાળકી કોની તે હજુ પણ રહસ્યમય છે. જોકે તે બાબતે પણ પોલીસ આ જ રીતે મહેનત કરી રહી છે. કડી મેળવવા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
મણિનગર માં જોગણી માતાજી ના મંદિર 10 દિવસની નવજાત બાળકીને ત્યજી દેનાર આખરે ઝડપાયા છે. પોલીસે મણિનગર, ખાડીયા, કાલુપુર જેવા અનેક વિસ્તારોમાં 200થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ આરોપીઓ સુધી પહોંચી છે. ફતેહવાડી માં રહેતો રીક્ષા ચાલક મુસ્તફા અજમેરી અને રાજસ્થાનની મહિલા પ્રસન્ના પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. આ બન્ને આરોપી બાળકીએ મંદિર ના ઓટલે મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસ ની તપાસમાં સીસીટીવી ફુટેજમાં એક રીક્ષા ની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. પોલીસે આ ફુટેજને લઇને જુદાજુદા વિસ્તારમાંથી 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. અને ફતેવાડીમાં રહેતા રિક્ષાચાલક મુસ્તફા અજમેરી સુધી પહોંચી હતી. રીક્ષા ચાલકની પૂછપરછ માં બાળકને ત્યજી દેવાનો ભેદ ઉકેલાયો છે. આ બાળકને રાજસ્થાની મહીલા લાવી હોવાનું ખુલતાં પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હોવાનું મણિનગર પોલીસસ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે બી સાંખલા એ જણાવ્યું છે.
બાળકને ત્યજી દેવાના કેસમાં મહિલા આરોપી પોલીસને જુદા જુદા નિવેદન આપી રહી છે. આ દસ દિવસનું બાળક તેને સીટીએમ નજીક એક બસ સ્ટેન્ડ નજીકથી મળ્યું હોવાનું કહી રહી છે. બાળક ને ત્યજી દેવાની સલાહ રીક્ષા ચાલક મુસ્તાફ આપી હોવાનો બચાવ કરી રહી છે. પરંતુ મહિલા ના નિવેદન શંકાસ્પદ છે કારણકે મહિલા 15 દિવસ પહેલા અમદાવાદ આવી હતી. પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ રાજસ્થાનમાં વિનોદ પ્રજાપતિ સાથે રહે છે. વિનોદ પરણિત હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મહિલા બાળક રસ્તામાં મળ્યું હોવાનું સતત રટણ કરી રહી છે. પોલીસ ને શંકા છે કે આ મહિલા બાળકને ઉઠાવીને લાવી હોય અથવા તો હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડાયેલી હોઈ શકે. હાલમાં તો પોલીસે બન્ને આરોપીની પૂછપરછ શરૂ કરી છે..
મણિનગર પોલીસ ને બાળકીને ત્યજી દેનાર આરોપીને પકડવામાં તો સફળતા મળી છે. પરંતુ બાળકી ની ઓળખ હજુ રહસ્યમય છે. હાલમાં પોલીસે મહિલા આરોપીના મોબાઈલ ની કોલ ડિટેઇલ્સ અને લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.