અમદાવાદ : અમદાવાદની સરકારી ઓફિસમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડાની મામલતદાર કચેરીમાં (naroda Mamlatdar Office) છીંક ખાવી પોલીસ જવાનને (Ahmedabad police) ભારે પડી છે. છીંક ખાતા જ બે ઈસમોએ પોલીસ જવાનને બિભત્સ ગાળો આપીને બીજા લોકોને બોલાવીને માર મારતા પોલીસ જવાનને નાકના ભાગે ફ્રેક્ચર થયું છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યુવરાજસિંહ ઝાલા ગઈ કાલે બપોરના સમયે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે ફાળવેલ જમીન બાબતના કામકાજ અંગે નરોડાની મામલતદાર કચેરી ખાતે ગયા હતા. જ્યાં તેઓને છીંક આવતા નજીકમાં ઉભેલા બે ઈસમોમાંથી એક ઈસમે તેની પાસે આવીને કહ્યું હતું કે હું, સારા કામથી નીકળ્યો છું તે છીંક કેમ ખાધી તેમ કરીને તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. જોકે, પોલીસ જવાને પોતે પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપીને અહીં સરકારી કામકાજ અર્થે આવ્યો હોવાનું કહેવા છતાં પણ આ બન્ને આરોપીઓએ તું કેવી રીતે સરકારી કામકાજ કરે છે તેમ કહીને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
એટલું જ નહીં, બીજા ત્રણ લોકોને બોલાવીને પાંચ જણા ભેગા થઈને પોલીસ જવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. જવાનને મોઢાના ભાગે મુક્કા મારતા તેઓને નાક અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે, આસપાસના લોકોમાં બુમાંબૂમ થઈ જતા પાંચ આરોપીઓએ પોલીસ જવાને મારવાનું બંધ કર્યું હતું.
બાદમાં સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. અને પોલીસ જવાને માર મારનાર પાંચેયના નામ પૂછતા તેઓએ જગદીશ ભરવાડ, ભરત ભરવાડ, વિપુલ ભરવાડ, સંજય ભરવાડ અને રવિ ભરવાડ હોવાનુ જણાવ્યું હતું.
" isDesktop="true" id="1070100" >
બીજી તરફ ઇજાગ્રસ્ત પોલીસ જવાન ને સારવાર માટે ખસેડતા તેઓને નાક નાં ભાગે ફેક્ચર હોવાનુ જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.