અમદાવાદ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. શહેરના રખિયાલમાં રમવા બાબતે બે કિશોર વચ્ચે ઝઘડો થતા ખૂની ખેલ ખેલાયો હતો. એક કિશોરએ પોતાના મિત્રને છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી. પોલીસે કિશોરની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.
શહેરમાં હત્યાની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તાજેતર માં પણ અનેક હત્યાની ઘટનાઓ બની હતી. જેમાં સામાન્ય તકરારોમાં હત્યા નિપજાવવામાં આવી હતી. ત્યારે વધુ એક ખૂની ખેલ ખેલાતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે. રખિયાલમાં મોરારજી ચોક નજીક બાળકો શુક્રવાર રાત્રે રમી રહ્યા હતા. ત્યારે બે બાળકો વચ્ચે રમત બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર હતો કે એક કિશોરે છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી.
ઘટના કંઈક એવી છે કે, 16 વર્ષનો આઝમ પઠાણ પોતાના ઘર નજીક મિત્રો સાથે મેદાનમાં રમી રહ્યો હતો. આ રમત રમતમાં તેના સગીર વયના મિત્ર સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો ઉગ્ર થયો કે, મિત્રએ આઝમને છરીના ઘા ઝીંકી હત્યા કરી દીધી. આ ઘટનાથી આઝમનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે. 3 બહેનનો લાડકવાયો ભાઈ અને મા બાપએ એકનો એક દીકરો ગુમાવી દેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે. આ પરિવાર ન્યાયની માંંગણી કરી રહ્યા છે.
ખેલ ખેલમાં બે મિત્રોનો ઝઘડો ખૂની ખેલમાં બદલાઈ ગયો. રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતક કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપ્યો હતો. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર પોલીસ સ્ટેશનમાં હાજર થતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, બન્ને વચ્ચે રમવા બાબતે તકરાર થતા ઉશ્કેરાઈને હત્યા કરી દીધી હતી.
રખિયાલ પોલીસે હાલ કિશોરની અટકાયત કર્યા બાદ તેને જુવેનાઇલ કોર્ટેમાં રજૂ કરશે. પોલીસે હત્યામાં વપરાયેલી છરી જપ્ત કરીને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.