દર વર્ષે 29 જૂનમાં રોજ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળ સરકારનો હેતુ આપણા રોજિંદા જીવનમાં તેમજ રાષ્ટ્રીય આર્થિક નીતિઓમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો છે.
ભારત સરકારે 2006માં ફાધર ઓફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ (આંકડાશાસ્ત્રી)ને માન આપવા માટે આ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય આંકડાશાસ્ત્રમાં પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ અતુલ્ય પ્રદાન છે.
પ્રશાંત ચંદ્ર મહાલનોબિસનો જન્મ 1893ની 29 જુનના રોજ કોલકાતામાં થયો હતો. આ વર્ષે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી પ્રોફેસરની 128મી જન્મજયંતિ નિમિત્તે છે. તેઓ ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ સાયન્સના સ્થાપક હતા.
તેઓ સ્ટેટીસટીક્સ માપદંડ મહાલનોબિસ ડિસ્ટન્સ, મોટા પાયે સેમ્પલના સર્વેક્ષણ સહિતના યોગદાન માટે જાણીતા છે. આ ઉપરાંત વિવિધ જૂથોમાં સામાજિક-આર્થિક પરિસ્થિતિઓની તુલના કરવાના તેમના 'ફ્રેક્ટાઈલ ગ્રાફિકલ એનાલિસિસ' નામની પદ્ધતિની શોધ પણ ખૂબ પ્રખ્યાત છે.
તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા હતા. તેઓ 1955થી 1967 દરમિયાન આયોજન પંચના સભ્ય રહ્યા હતા. તેમજ દેશના ઔદ્યોગિકરણના આયોજનમાં પણ તેમનો સિંહફાળો હતો.
આ દિવસની ઉજવણી દર વર્ષે અલગ થીમ સાથે થાય છે. રાષ્ટ્રીય સુસંગતતાના મુદ્દા પર આ થીમ આધારિત હોય છે. 2020માં આ દિવસની થીમ સતત વિકાસ લક્ષ્યો -3 (તંદુરસ્ત જીવન મેળવવું અને તમામ વયના લોકો માટે સુખાકારીને પ્રોત્સાહન કરવી) અને સતત વિકાસ લક્ષ્યો-5 (જેન્ડર સમાનતા મેળવવી અને સ્ત્રી સશક્તિકરણ કરવા)ની હતી. જ્યારે 2019માં ટકાઉ વિકાસ લક્ષ્યોની થીમ હતી. પરંતુ ચાલુ વર્ષની થીમ હજુ જાહેર કરવાની બાકી છે.
સામાજિક-આર્થિક માળખામાં સ્ટેટિસ્ટિક્સના મહત્વ પર ભાર આપવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અને યુવા પેઢીને પ્રેરણા આપવાની દિશામાં નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે થકી પ્રયત્નો થાય છે. આ દિવસની ઉજવણી વિવિધ સેમિનાર અને સ્પર્ધાઓથી કરવામાં આવે છે. જેનો હેતુ રાષ્ટ્રીય વિકાસમાં સ્ટેટિસ્ટિક્સના ઉપયોગને વધારવાનો છે. આ દિવસે એપ્લાઇડ અને થિયરેટિકલ સ્ટેટિસ્ટિક્સ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર લોકોને મંત્રાલય દ્વારા સન્માનિત કરવામાં આવે છે.
સ્ટેટિસ્ટિક્સનો ઉદ્દેશ આર્થિક નીતિઓ ઘડવાની સાથે રોજિંદા જીવનમાં તેની ઉપયોગીતાઓ પણ શોધવાનો છે. દા.ત. મહામારી દરમિયાન સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ ડેટાને તપાસવા અને સારવાર માટે યોજના ઘડી કાઢવા કરવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દર પાંચ વર્ષે વિશ્વ સ્ટેટિસ્ટિક્સ ડે મનાવવામાં આવે છે. જેનાથી નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડે જુદો પડે છે.
કઈ રીતે થાય છે આ દિવસની ઉજવણી
રોજિંદા જીવનમાં સ્ટેટિસ્ટિક્સનું ચલણ વધારવા અને સ્ટેટિસ્ટિક્સ કેવી રીતે નીતિઓને ઘડવામાં મદદ કરે છે, તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરકાર સ્ટેટિસ્ટિક્સ ડેની ઉજવણી કરે છે. નેશનલ લેવલે ઉજવાતા દિવસોમાં આ દિવસનું વિશેષ સ્થાન છે. જે સ્વ. પ્રોફેસર પી. સી મહાલનોબિસની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમમાં તેમના યોગદાન બદલ આ દિવસને ઉજવાય છે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે આ દિવસની મુખ્ય ઉજવણી ઓનલાઈન થઈ રહી છે. ત્યારે નીતિ આયોગ દ્વારા વિડીયો કન્ફરન્સ અને વેબકાસ્ટિંગનું આયોજન ઘડી કઢાયું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામના અમલીકરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દરજિત સિંઘ (સ્વતંત્ર હવાલો), નેશનલ સ્ટેટિસ્ટિક્સ આયોગના અધ્યક્ષ પ્રોફેસર બિમલકુમાર રોય, ચીફ આંકડાશાસ્ત્રી અને સચિવ જી.પી. સમંતા, ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ ઇન્સ્ટિટ્યૂટના સંઘમિત્ર બંદયોપાધ્યાય, સંયુક્ત રાષ્ટ્રની ફૂડ અને કૃષિ સંસ્થાના મુખ્ય આંકડાશાસ્ત્રી પીટ્રો ગેન્નારી, યુ.એન.ના રેસિડેન્ટ કોઓર્ડિનેટર રેનાટા લોક-ડેસાલ્લિઅન હાજર રહેશે. મહાનુભાવો આ પ્રસંગે ભાગ લેનારાઓને સંબોધન કરશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટોચના અધિકારીઓ અને અન્ય હોદ્દેદારો વિડીયો કોન્ફરન્સિંગ - વેબકાસ્ટિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પ્રસંગે MoSPI ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમને લાભ આપવા માટે વ્યવહારિક અને સૈદ્ધાંતિક સ્ટેટિસ્ટિક્સના ક્ષેત્રમાં ઊંચી ગુણવત્તા ધરાવતા સંશોધન કાર્યના યોગદાનને પણ માન આપે છે. આ વર્ષે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં પ્રો.સી. આર. રાવ મહાલનોબિસ નેશનલ એવોર્ડના વિજેતા અને યંગ સ્ટેટિસ્ટિઅન માટે પ્રો.સી. આર.રાવ રાવ નેશનલ એવોર્ડની જાહેરાત આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ‘ઓન સ્પોટ નિબંધ લેખન સ્પર્ધા, 2021ના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર