નવી દિલ્હી. કોરોના મહામારી (Corona Pandemic)એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના તમામ દેશો આ મહામારીના ભરડામાં આવી ચૂક્યા છે. આ કપરા સમયમાં ડોક્ટરો (Doctors), હેલ્થ વર્કરો (Health Workers) પોતાના જીવના જોખમે વિશ્વને આ મહામારીમાંથી બહાર લાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે. કોરોના સાથેના આ યુદ્ધ દરમિયાન અસંખ્ય ડોક્ટરો સંક્રમિત થયા અને જીવ પણ ગુમાવ્યા તેવા કિસ્સાઓ બન્યા છે.
તેવામાં હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, સામાન્ય માણસોની સરખામણીએ હેલ્થ વર્કર્સને કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થવાનો ખતરો 3 ગણો વધારે છે. લગભગ દર પાંચમાંથી એક હેલ્થ વર્કર કોઇ પણ લક્ષણો વગર અજાણ હોય છે કે તે કોવિડ-19 સંક્રમિત છે. આ દરમિયાન સંક્રમણ ફેલાવવાનું જોખમ પણ તેટલું જ વધી જાય છે.
ઇઆરજે ઓપન રિસર્ચ (ERJ Open Research)માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર, મે અને સપ્ટેમ્બર, 2020ની વચ્ચે કુલ 2063 હેલ્થકેર સ્ટાફનું કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટિબોડીઝ (Antibodies) અંગે પરીક્ષણ કરાયું હતું. આ એન્ટિબોડિઝ દર્શાવે છે કે કોઇ વ્યક્તિ કોરોનાથી ચેપગ્રસ્ત છે. બ્લડ ટેસ્ટમાં દર્શાવાયું હતું કે 14.5 ટકા આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે. આ આંકડો સામાન્ય માણસો કરતા 3 ગણો વધુ છે.
હેલ્થ વર્કર્સને આમ તો આજે કોરોના વોરિયર્સ તરીકે ગણવામાં આવે છે. પરંતુ આ મહામારી સામે લડતા આ આરોગ્યકર્મીઓના જીવ પર પણ મોતની તલવાર લટકી રહી છે. આ અભ્યાસ અનુસાર, તમામ આરોગ્યકર્મીઓમાં કોવિડ-19નું સંક્રમણ ફેલવવાના રેટ્સ અલગ અલગ છે. જેમ કે, ડેન્ટિસ્ટમાં 26 ટકા, હેલ્થ કેર આસિસ્ટન્ટમાં 23.3 ટકા, હોસ્પિટલ પોર્ટર્સમાં 22.2 ટકા છે. જ્યારે વહીવટી અધિકારીઓમાં આ દર ડોક્ટરો જેટલો જ એટલે કે 21.1 ટકા છે. લગભગ 18.7 ટકા તે વાતથી અજાણ હતા કે તેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને તેમનામાં કોઇ પણ લક્ષણો ન હતા. સંશોધકોના જણાવ્યા અનુસાર, તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે જ્યારે કોરોનાના લક્ષણો દેખાતા નથી, ત્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ તેના કામ પર જશે અને અજાણતા જ અન્ય લોકોને પણ ઇન્ફેક્શન ફેલાવે છે.
યુકેની ડૂંડે યુનિવર્સીટી (University of Dundee)ના કન્સલ્ટન્ટ રેસ્પિરેટરી ફિઝિશ્યન, રિસર્ચર પ્રોફેસર જેમ્સ ચાલ્મર્સના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મહામારી દરમિયાન સૌથી વધુ ધ્યાન ડોક્ટર્સ અને નર્સો માટે પીપીઇ કીટ તરફ હતું. પરંતુ અમને જાણવા મળ્યું છે કે, ડેન્ટિસ્ટ, હેલ્થ કેર આસિસ્ટન્ટ અને પોર્ટર્સ સૌથી વધુ કોરોના સંક્રમિત થયા હતા.
જોકે, અભ્યાસમાં સામે આવ્યું છે કે અગાઉ જે હેલ્થ કેર વર્કર્સ સંક્રમિત થયા હતા તેઓ કોરોનાની બીજી લહેરમાં છેલ્લા 6 મહિનામાં ખૂબ ઓછા સંક્રમિત થયા છે. તેમના બ્લડ ટેસ્ટના મહિના બાદ 39 વર્કર્સે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી હતી. જ્યારે તેમાંથી એક કર્મચારી પાછળથી કોરોના પોઝીટીવ નોંધાયો હતો. જે 85 ટકા જોખમમાં ઘટાડો કરે છે અને તે કોરોનાની રસી દ્વારા મળતા રક્ષણ સમાન છે.
" isDesktop="true" id="1099640" >
વધુમાં ચાલ્મર્સે ઉમેર્યુ કે, કોરોના વાયરસથી જે લોકો પહેલા સંક્રમિત થઇ ચૂક્યા છે, તે લોકો માટે આ એક સારા સમાચાર છે. તેનો અર્થ છે કે બીજી વખત સંક્રમિત થવાની શક્યતા ઘટી જાય છે. આરોગ્ય કર્મીઓમાં ક્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ રહેશે અને રસીકરણની અસર કેવી થાય છે તે અંગે હજુ પણ સંશોધન કરવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર