Kutch: 2006 માં કચ્છ માટે નર્મદા પાણી (Narmada River) પહોંચાડવા કેનાલ (Kutch Narmada Canal) બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ છેલ્લા 16 વર્ષમાં કોઈ જમીન પર કોઈ ખાસ કામ થયું ન હોવાના કારણે કચ્છના ખેડૂતો અને ખાસ કરીને ભારતીય કિસાન સંઘ દ્વારા અવાર નવાર રજૂઆતો અને આંદોલનો (Farmers' Protest) કરવામાં આવ્યા છે. તો હાલ થોડા મહિના અગાઉ જ આ કેનાલનું કામ શરૂ કરવા સરકારે ફરી એક વખત જાહેરાત કર્યા બાદ દુધઈ સબ બ્રાન્ચથી રૂદ્રમાતા સુધી પાઇપલાઈન (Narmada Pipeline) વડે પાણી પહોંચાડવાની વાત કરાતા ખેડૂતો રોષે ભરાયા છે. તો પાઇપ લાઈનના બદલે કેનાલ જ બનાવી જોઈએ તેવી માંગ સાથે કચ્છભરમાં ખેડૂતોએ બુધવારે પોતાના ટ્રેકટર લઈ રૂદ્રમાતાથી ભુજ સુધી રેલી (Farmers' Tractor Rally) યોજી હતી.
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા નર્મદાના નીર બાબતે રુદ્રમાતા જાગીર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત \"અભી નહીં તો કભી નહીં, નર્મદા લાવો કચ્છ બચાવો\"ના સૂત્ર સાથે ભુજના વિવિધ રિંગરોડ સહિતના મહત્વના પોઇન્ટ પર ટ્રેકટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દુધઇ સબબ્રાન્ચ કેનાલની કામગીરી અધુરી રહેતા કિસાનોમાંરોષ જોવા મળી રહ્યો હતો.અને મોટી સંખ્યામાં, મહિલાઓ, સંતો અને કિસાનો આ સભા અને રેલીમાં પોતાના ટ્રેકટર સાથે જોડાયા હતા.
કચ્છ જિલ્લામાં નર્મદાના નિયમિત પાણી પહોંચાડવા બે કેનાલનું આયોજન કરાયું છે. તેમાં એક ટપ્પરથી મોડકુબા સુધી અને બીજી ટપ્પરથી રૂદ્રમાતા સુધીની કેનાલનો સમાવેશ થાય છે. ટપ્પરથી રૂદ્રમાતા કેનાલમાં બે વર્ષ પહેલાં સરકાર દ્વારા અચાનક કેનાલના બદલે પાઇપ લાઇન પાથરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે સરકારના આ નિર્ણયથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કારણ કે, દુધઇ સબ બ્રાન્ચ કેનાલ 68 કિલો મીટર જેટલી લંબાઇ ધરાવે છે તેમાં નિયમિત પાણીના 33 કિલો મીટરના કામો થઇ ગયા છે જ્યારે બાકીના 45 કિલો મીટરના કામ બાકી છે.
નર્મદા નિગમ દ્વારા તેનો સર્વે પણ કરાઇ ગયો છે તેમજ એસ્ટીમેટ પણ બની ગયો છે માત્ર ખેડૂતોને જમીન સંપાદનના એવોર્ડ કરવાના બાકી રહ્યા છે. ખેડૂતો પણ જમીન આપવા સરકારના નીતિ નિયમો મુજબ તૈયાર છે તો તાત્કાલિક ધોરણે બાકીના કામો પુરા કરવા સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે, કારણ કે, 45 કિલો મીટરમાં આવતા ભુજ તાલુકાના 10 ગામો પહેલાથી જ મૂળ યોજના મુજબ કમાન વિસ્તારમાં આવે છે. આ ગામો પાસે સિંચાઇ માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને સરહદો પરના ગામો છે તેમાં પાણીના અભાવે ખેડૂતો અને માલધારીઓ હિજરત કરી રહ્યા છે. જેને રોકવા માટે પાણી અગત્યનું હોય બાકી રહેતાં કામો તાત્કાલિક પૂરા કરવા યોગ્ય પગલા સરકાર લે તેવી માંગણી ઊભી થઈ છે.
ઉપરાંત સરકાર દ્વારા જો તાત્કાલિક નિર્ણય લઈને પાઇપ લાઇનના બદલે કેનાલ બનાવવામાં આવે અનેતેનું કામ ઝડપભેર પૂરું કરવામાં આવે તેવી માગણી ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ બાબતે 19મી એપ્રિલના રોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેનો કોઇ પણ પ્રકારનો ઉત્તર કિસાનોને મળ્યો ન હતો. તો આ વખતે ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો 9 મે સુધી કિસાનોની માગણી નહીં સંતોષાય તો 10 મે થી કલેક્ટર કચેરી સામે અચોક્કસ મુદતના ધરણા યોજવામાં આવશે.