નર્મદા કેનાલ બન્યા પૂર્વે નાની રાયણ ગામની વાડીઓમાં ભરતી વરસાદી પાણી વિવિધ માર્ગેથી રૂકમાવાતી નદીમાં વહી જતું હતું પણ કેનાલ અવરોધ બનતા હવે વરસાદી પાણી વાળી ખેતરોમાં ખેડૂતોના પાક નષ્ટ કરી રહ્યું છે
Dhairya Gajara, Kutch: ગત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માંડવી તાલુકાના મોડકુબા ગામ સુધી નર્મદાના પાણીની કચ્છ બ્રાન્ચ કેનાલનું લોકાર્પણ કર્યું હતું. દોઢ દાયકાથી રાહ જોતા અહીંના ખેડૂતોને આખરે મા નર્મદાના દર્શન થતાં તેમના માટે તો જાણે સ્વર્ગ આ કેનાલ માર્ગે તેમના સુધી પહોંચી આવ્યો હોય, પરંતુ ચોમાસું આવતા જ આ નર્મદા કેનાલ નાની રાયણ ગામના ખેડૂતો માટે શ્રાપ બની ગઈ હતી. ખેતી પર નિર્ભર આ ગામ પાસેથી પસાર થતી કેનાલની આસપાસ વાડીઓમાં ભરાતું પાણી જે અગાઉ વિવિધ રસ્તેથી રૂકમાવતી નદીમાં વહી જતું હતું તેનો રસ્તો બંધ થતાં બધું પાણી કેનાલની બીજી તરફની વાડીઓમાં ભરાવવા લાગ્યું. નર્મદા નિગમ દ્વારા સાયફન બનાવવામાં થયેલી એક ભૂલના કારણે કમર સુધીના પાણીએ ગત વર્ષે ખેડૂતોનો બધો પાક નષ્ટ કર્યો હતો.
માંડવી તાલુકાના નાની રાયણ, મોટી રાયણ, કોડાય વગેરે ગામો મોટેભાગે ખેતી પર નિર્ભર છે. કપાસ, એરંડા ઉપરાંત થોડા વિસ્તારમાં બાગાયત પાકો પણ અહીં ખેડૂતો લઈ રહ્યા છે. ચોમાસા દરમિયાન અહીંના વાડી વિસ્તારમાં જમા થતું પાણી વિવિધ માર્ગે નાની રાયણ અને મોટી રાયણ ગામ વચ્ચેથી પસાર થતી રૂકમાવતી નદીમાં વહી નીકળતું હતું, પરંતુ નર્મદા કેનાલના બાંધકામ સમયે આ વિવિધ વહેણને બદલે નર્મદા નિગમ દ્વારા માત્ર એક સાયફન બનાવતા પાણી રૂકમાવતી નદીમાં જવાને બદલે નાની રાયણ ગામની વાડીઓમાં ભરાવવા લાગ્યો.
કેનાલની દક્ષિણી બાજુ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી ફક્ત વાડી ખેતરો જ આવેલા છે. ગત ચોમાસે વરસાદી પાણી આ વાડી ખેતરોમાંથી કહેર બની વહી નીકળ્યો હતો. વાડીઓમાં કમર સુધી ભરાઈ ગયેલા પાણીએ ખેડૂતોના ઊભા પાક નષ્ટ કરી મુક્યા હતા. આ જ વાળી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતાં લગભગ બે મહિના સુધી શાળા બંધ રાખવાની ફરજ પડી હતી.
અહીંના ખેડૂતોએ આ સાયફનના બાંધકામ સમયે જ વિરોધ દર્શાવ્યો હતો. વડાપ્રધાન દ્વારા કેનાલના લોકાર્પણ કાર્યક્રમમાં પણ વિરોધ દર્શાવવાની ચીમકી આપતા જરૂરી સુધારા કરવાની આશ્વાસન પણ મળ્યું હતું. આટલા વિશાળ જિલ્લામાં નર્મદા નિગમની એકમાત્ર કચેરી પણ તેમનાથી 90 કિલોમીટર દૂર હોતાં રજૂઆત માટે ધક્કા ખાવા પણ આ ખેડૂતોને પોષાય તેમ નથી. સમયાંતરે સ્થળ પર મુલાકાત લેવા આવતા એક ચૌધરી સાહેબ નામના અધિકારીને જ ખેડૂતો ઓળખે છે અને તેમની પાસેથી પણ તેમને ફક્ત આશ્વાસન જ મળતાં આવ્યા છે.
News18 દ્વારા નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર બી.કે. ચૌધરીનો સંપર્ક કરાતા તેમણે કબૂલ્યું હતું કે પાણીના વહેણને નદી તરફ વાળવાની કામગીરી હજુ બાકી છે અને જમીન સંપાદનનું કામ પૂર્ણ થયા બાદ જ તેનું કામ શરૂ થઈ શકે છે. અહીંના ખેડૂતોને હવે ફરી ચિંતા સતાવી રહી છે કે બે મહિનામાં ચોમાસું માથે આવી પહોંચશે અને જો તેની પહેલા આ કામ પૂર્ણ નહીં થાય તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ તેમનો બધો જ પાક નષ્ટ થશે.