Dhairya Gajara, Kutch: કચ્છના બે મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલનને ઉનાળામાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે. કચ્છના બન્ની વિસ્તારમાં જે રીતે ઉનાળો શરૂ થતાં જ પાણીની અછતના કારણે માલધારીઓને પોતાની ભેંસો માટે હિજરત કરવી પડે છે તેવી જ પરિસ્થિતિ લખપત તાલુકાના માલધારીઓની છે. લખપતમાં ઘાસની અછત સર્જાતા હર વર્ષની જેમ આ વર્ષે ફરી તાલુકાના પ્રખ્યાત લાલ પાઘડી રબારી સમાજના માલધારીઓ પોતાની ગાયો લઈને પોતાના વતનને અલવિદા કહી છે. આ માલધારીઓ લખપત તાલુકાથી પોતાની એક હજારથી વધારે ગાયોને લઈ 100 કિલોમીટર દૂર ભુજ તાલુકા સુધી જવા પગપાળા પ્રવાસ શરૂ કર્યો છે.
ઉનાળો શરૂ થતાં જ કચ્છના ઉત્તરી પશ્ચિમ ખૂણાના સરહદી તાલુકા લખપતમાં પણ પશુધનની પરિસ્થિતિ કથળી રહી છે. ગામોની સીમમાં ઘાસ પૂરો થઈ જતાં હવે માલધારીઓ પાસે પોતાની ગાયોને ખવડાવવા ઘાસ બચ્યો નથી. તાલુકાના બરંદા નજીક આવેલા રાતા તળાવ ગામના લાલ પાઘડી રબારી સમાજના માલધારી પરિવારોએ ઘાસની અછત વચ્ચે પોતાના ગામથી હિજરત શરૂ કરી છે. ભૂસા અને ખડના ભાવ આસમાને પહોંચતા હવે આ માલધારીઓ પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. તેથી હવે લખપતથી નીકળી આ માલધારીઓ પોતાની એક હજારથી વધારે ગાયો અને તેમના વાછરડાને લઇ પગપાળા 100 કિલોમીટરનો પ્રવાસ ખેડવા ઉપડી પડ્યા છે.
છેલ્લા સાત વર્ષથી આ માલધારીઓ ઉનાળા દરમિયાન પોતાની ગાયોને લઈ ભુજ તાલુકાના બળદિયા ગામે સ્થળાંતર કરે છે. બળદિયાના એક દાતા પરબત પટેલ છેલ્લા સાત વર્ષથી આ ગાયોને પૂરા ઉનાળા માટે રહેવા તેમજ ખાવા પીવાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે, પરંતુ આ 100 કિલોમીટરનો પ્રવાસ તેમના માટે ખૂબ કઠિન નીવડે છે. રસ્તામાં જો ક્યાંય ઘાસ મળે તો ગાયો ચરી લે છે નહીં તો ભૂખ્યા પેટે જ આ લાંબો અંતર કાપતી જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાં જો આ સીમ જંગલ વચ્ચે કોઈ વ્યક્તિ દેખાઈ જાય તો ગાયો ખોરાકની આસમાં તેમની પાસે દોડી જાય છે.
આટઆટલી મુશ્કેલીઓ સહન કર્યા છતાં પણ આ ગોવાળ સરકાર પાસે પોતાના માટે કોઈ અપેક્ષા કરતા નથી. માંગે છે તો માત્ર એટલું જ કે સરકાર તેમના દાતા પરબતભાઇને સહાય આપે જેથી પરબતભાઇ અવિરતપણે તેમની મદદ કરતા રહે.
તેમની હિજરતના આ લાંબા પ્રવાસ માટે અન્ય અનેક દાતાઓ પણ તેમને ઘાસ પૂરો પાડતા હોય છે. આ વર્ષે પણ ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા ગૌવંશજોને 6500 કિલો લીલો ઘાસચારાનું નિરણ કરાવાયું હતું.