Dhairya Gajara, Kutch: હર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને ગણતંત્ર દિવસ નિમિતે કચ્છના જિલ્લાકક્ષાની ઉજવણી મોટેભાગે ભુજની લલાં કોલેજના ગ્રાઉન્ડ મધ્યે યોજવામાં આવતી હોય છે. જો કે, આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી ભુજ ખાતે નવનિર્મિત સ્મૃતિ વન ખાતે કરવામાં આવી હતી. દેશ માટે એક ગૌરવપૂર્ણ દિવસ હોવાની સાથે 2001ના ત્રાટકેલા ભૂકંપના કારણે આ દિવસ કચ્છ માટે કાળમુખો પણ છે ત્યારે ભૂકંપમાં જીવ ગુમાવેલ એ દિવંગત આત્માઓની સ્મૃતિમાં બનાવાયેલ સ્મૃતિ વનમાં આ વર્ષે ગણતંત્ર દિવસ ઉપરાંત દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાની કાર્યક્રમ પણ યોજાયું હતું. તો હર વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી સ્મૃતિ વન ખાતે થાય તેવી ઈચ્છા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ દર્શાવી હતી.
2001ના એ ગણતંત્ર દિવસની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી હતી અને દેશનો સંવિધાન અમલી થવાની એ તારીખની ઉજવણી થાય તે પહેલાં જ કચ્છ પર ત્રાટકેલા એ ભૂકંપે કચ્છને હંમેશા માટે બદલી નાખ્યું હતું. જો કે, ભૂકંપમાં ધૂળ થઈ ગયેલું કચ્છ ફિનિક્સ પક્ષીની જેમ ફરી રાખમાંથી ઉભુ થયું હતું અને આજે કચ્છ સહિત દેશને આ વાત પર ગર્વ છે. તો ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેતા રાજયમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરીયાએ પણ કચ્છની ખમીરીને બિરદાવી હતી.
તો રાજ્યમંત્રીએ આ દિવસને હંમેશા યાદ રાખી ગણતંત્ર દિવસની ઉજવણી સ્મૃતિ વન ખાતે જ થાય તેવી ઈચ્છા દર્શાવી હતી. સાંસદ અને ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાયા બાદ રાજ્યમંત્રીએ પણ વાત સાથે સહમત થઈ ગણતંત્ર દિવસની ઉજવણી સ્મૃતિ વન ખાતે કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભુકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં બનેલા ચેકડેમ ખાતે મંત્રીએ અંજલી અર્પી હતી. આ સાથે વિવિધ ચેકડેમ ખાતે દિવંગતોના સ્વજનો દ્વારા પણ પુષ્પાંજલી અર્પિત કરાઇ હતી. પરીવારજનોએ આ તકે સ્મૃતિવન ખાતે ૧૨ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે વહેલી સવારે સનપોઇન્ટ સુધી શ્રધ્ધાજંલી વોક યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભુજવાસીઓએ ભાગ લીધો હતો.