Dhairya Gajara, Kutch: આમ તો સમગ્ર કચ્છમાં અનેક શિવ મંદિર એવા છે જેમાં સ્વયંભૂ શિવલિંગ જોવા મળે છે. પરંતુ ભુજ શહેરમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ એક રોચક ઇતિહાસ ધરાવે છે. કહેવાય છે કે એક સમયે એક વ્યક્તિએ આ શિવલિંગ પર કુહાડીનો ઘા મારતા શિવલિંગ માંથી લોહી વહી નીકળ્યું હતું. ત્યારબાદ આ સ્થળ પર મંદિર બનાવવામાં આવ્યું હતું. ભુજ શહેરમાં આવેલા એક ડુંગર પર સ્થિત આ જડેશ્વર મહાદેવ મંદિર સુરલભીટ તરીકે પણ ઓળખાય છે.
આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે 200 વર્ષ પહેલાં રાજાશાહી સમયે આ ડુંગર પર ગાયો ઘાસ ચરવા જતી હતી. એક જગ્યાએ ગાયે આપમેળે દૂધ આપતા ભરવાડે ત્યાં અંદર જમીનમાં શું છે તે જોવા તેની પાસે રહેલી કુહાડી જમીન પર મારી હતી. કુહાડીનો ઘા મારતાં જ જમીનમાંથી લોહી નીકળ્યું હતું. આ જોઈ ભરવાડ ચકિત થઈ ગયો હતો અને લોકોને ભેગા કરી ત્યાં ખોદકામ કરતાં ત્યાંથી શિવલિંગ મળી આવ્યું હતું. આજે પણ આ શિવલિંગ પર કુહાડીના ઘા જોવા મળે છે.
આ સ્વયંભૂ શિવલિંગને પૂજવા સૌપ્રથમ નાની ડેરી બનાવાઈ હતી અને ત્યારબાદ કચ્છના મહારાજ કુમાર વિજયરાજજી દ્વારા 7000 કોરીનો ખર્ચ કરી અહીં વિશાળ મંદિર બનાવવામાં આવ્યો હતો અને મંદિરની ખંડિત મૂર્તિઓનું જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યું હતું. ડુંગર પર આવેલા આ મંદિર સુધી સરળતાથી પહોંચવા પગથિયાં પણ તે સમયે બનાવવામાં આવ્યા હતા. તો અન્ય એક ભાવિકે પણ બીજી બાજુથી ઉતારવા ચડવા માટે પણ પગથિયાં બનાવ્યા હતા.
આ મંદિરનો મહિમા એવો છે કે આસપાસના 15 ગામના લોકો નિયમિતપણે અહીં દર્શન કરવા આવે છે. ડુંગર પર મંદિર સુધી ચડતી સમયે રસ્તામાં વિસામો ખાવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઊંચાઈ પરથી આસપાસના પ્રાકૃતિક સૌંદર્યના નજારો પણ માણી શકાય છે. ડુંગરની તળેટી પર એક 25 ફૂટ ઊંચી મહાદેવની મૂર્તિ પણ લોકોને આકર્ષે છે.