Dhairya Gajara, Kutch: આમ તો કચ્છમાં કોમી એકતાના અનેક દાખલાઓ જોવા મળે છે પરંતુ માંડવી તાલુકાના એક નાનકડા ગામમાં આવેલું મહાદેવનું મંદિર અહીંની સાંપ્રદાયિક એકતાનો એક અનન્ય દાખલો છે. મોટા ભાડિયા ગામમાં આવેલા એક ધાર્મિક પરિસરમાં મહાદેવનું મંદિર અને એક પીરની દરગાહ બન્ને બાજુ બાજુમાં આવેલી છે. હિન્દુ મુસ્લિમ સમાજના ભાવિકો અહીં આવી બન્ને જગ્યાએ માથું ટેકે છે અને એ કારણે જ આ પરિસરને મિયાં મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામમાં આવેલા એક સ્મશાન અને કબ્રસ્તાન વચ્ચે આવેલું આ મિયાં મહાદેવનું મંદિર વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવું છે. ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે 700 વર્ષ પહેલાં અહીં મહાદેવ સ્વામી નામના સંત રહેતા હતા અને સિંધના મીરપુર ભઠોરા ગામથી આવેલા એક મુસ્લિમ પરિવારને તેમણે આ સ્થળ પર આસરો આપ્યો હતો. તેમની યાદમાં જ અહીં ભઠોર પીરની દરગાહ બનાવવામાં આવી છે.
અંદાજે 400 વર્ષ પહેલાં ગુંદીયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે મહાદેવની તપસ્યા કર્યા બાદ મહાદેવ તેમનાથી પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ ઘોડાના વેપારમાં તેમને સફળતા મળતાં તેમણે અહીં આ નાગનાથ મહાદેવનું મંદિર બનાવ્યું હતું. હર વર્ષે મહાશિવરાત્રી, શ્રાવણ માસ સહિત અનેક તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવની પૂજા સાથે ભઠોરપીરની દરગાહ પર પણ માથું ટેકી ચાદર ચડાવે છે.
નાગનાથ મહાદેવના મંદિર અને ભઠોર પીરની દરગાહ વચ્ચે એક બારી આવેલી છે. કહેવાય છે કે આ બારી ક્યારેય પણ બંધ થતી નથી. અને જો તેને બંધ કરે છે તો આપમેળે ખુલી જાય છે. આસ્થા અને કોમી એકતાના આ જીવંત નમૂનાને આ કારણે જ લોકો મિયાં મહાદેવ તરીકે ઓળખે છે.