Dhairya Gajara, Kutch: બદલાતા સમય સાથે દેશભરમાં શિક્ષણની પદ્ધતિ બદલાવવા ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી હતી. NEP તૈયાર થતાં જ દેશભરની શાળાઓ અને કોલેજ યુનિવર્સિટીઓમાં તેને અમલી કરવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ગુજરાતમાં આવેલી બધી યુનિવર્સિટીમાં પણ આ નવી શિક્ષણ નીતિ અંતર્ગત આર્ટ્સ પ્રવાહનું માળખું તૈયાર કરવાની જવાબદારી કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડીન ડૉ. કાશ્મીરા મહેતા દ્વારા આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવા પહેલા સૌપ્રથમ તેનું માળખું તૈયાર કરવું પડે છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ જેવા વિવિધ પ્રવાહોના માળખા તૈયાર કરવાની જવાબદારી ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓને આપવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીને આર્ટ્સ પ્રવાહનું માળખું તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવતા કચ્છ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ માળખું સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવશે અને તે કચ્છ માટે આ એક ગૌરવપૂર્ણ બાબત કહી શકાય.
નવી શિક્ષણ નીતિના નિયમો મુજબ 70 ટકા અભ્યાસક્રમ એકસમાન રહેશે જ્યારે કે બાકીનો 30 ટકા અભ્યાસક્રમ જે તે જિલ્લાની લોકલ બાબતોનું સમાવેશ કરો બનાવવામાં આવ્યું છે. શિક્ષણ પદ્ધતિમાં ધરખમ ફેરફારો વચ્ચે સ્નાતક કોર્સ ત્રણ અને ચાર વર્ષના રહેશે તો અનુસ્નાતક કોર્સ એક અને બે વર્ષના રહેશે. આ માટે એક ક્રેડિટ માળખું તૈયાર કરવામાં આવ્યું છે અને દરેક વિદ્યાર્થીઓને પોતાના કોર્સ દરમિયાન નક્કી કરાયેલ ન્યૂનતમ ક્રેડિટ મેળવવાના રહેશે.
ડૉ કાશ્મીરા મહેતા દ્વારા તૈયાર કરાયેલ આર્ટ્સ પ્રવાહના માળખામાં મુખ્ય વિષયોના અભ્યાસની સાથે વિદ્યાર્થીઓમાં સ્કીલ ડેવલપમેન્ટ થાય તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. તો આર્ટ્સ પ્રવાહ ખૂબ વિશાળ હોતાં સ્થાનિક વિષયો માટે ખાસ નિષ્ણાંતો બોલાવવામાં આવશે તો અમુક વિષયોનું અભ્યાસ ઓનલાઇન કરી શકાશે જેના ક્રેડિટ પણ વિદ્યાર્થીઓને મળશે.
આર્ટ્સના વિદ્યાર્થીઓ વિવિધ ભાષાઓ શીખે તે માટે પણ ખાસ વોકેશનલ કોર્સ શરૂ કરાય તેવું આ અભ્યાસ માળખામાં સૂચવાયું છે. તો વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી જ્યારે વ્યાવસાયિક દુનિયામાં પગ મૂકે ત્યારે તેમની પાસે જરૂરી અનુભવ હોય તે માત્ર ઇન્ટર્નશિપનો વિકલ્પ પણ આ માળખામાં અપાયું છે.