Home /News /kutchh /Kutch: સરહદ પર બિરાજમાન ભેડિયા બેટ હનુમાનજી, જવાનો ઇચ્છા પુરી થાય તો મંદિરમાં ઘંટ ચઢાવે છે!

Kutch: સરહદ પર બિરાજમાન ભેડિયા બેટ હનુમાનજી, જવાનો ઇચ્છા પુરી થાય તો મંદિરમાં ઘંટ ચઢાવે છે!

X
આસ્થા

આસ્થા અને દેશપ્રેમનું પ્રતિક છે આ મંદિર

નો મેન્સ ઝોનમાં આવેલા આ મંદિરે દર્શન કરવા પ્રવાસીઓને બીએસએફ પાસેથી પૂર્વ અનુમતિ મેળવવી પડે છે

    Dhairya Gajara, Kutch: કચ્છમાં પ્રવાસન સ્થળો સાથે તીર્થધામો પણ અનેક છે. માતાનો મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર જેવા અનેક તીર્થ સ્થળો ખાતે પ્રવાસન સીઝન દરમિયાન મોટી સંખ્યામાં પર્યટકો ઊમટતા હોય છે પરંતુ કચ્છમાં આવેલું આ હનુમાનજીનું મંદિર ખૂબ વિશેષ છે. ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલું આ મંદિર દેશની સુરક્ષા કરતા જવાનોની આસ્થાનું પ્રતિક છે અને જવાનો સાથે જાણે હનુમાનજી પણ દેશની સરહદનું રખોપું કરતા હોય તેવો આભાસ આ મંદિર કરાવે છે.

    લોકવાયકા મુજબ 1971ના યુદ્ધ બાદ જ્યારે જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે જવાનોના એક સમૂહને આંતરાષ્ટ્રીય સીમા નજીક રણમાં હનુમાનજીની મૂર્તિ મળી હતી અને તે સમયે થયેલી આકાશવાણીએ જવાનોને તે સ્થાન પર હનુમાનજીનું મંદિર બનાવવા સૂચના આપી હતી. તો અન્ય એક લોકવાયકા મુજબ જવાનોને પાકિસ્તાનની જત તલાઈ ચોકી પાસે આ મૂર્તિ મળી હતી અને તેને ભારતીય સરહદમાં ખસેડી સરહદની સમીપે મંદિર બનાવ્યું હતું.


    વર્ષ 2018માં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ આ મંદિરની મુલાકાત લઈ તેની દયનીય પરિસ્થિતિ નિહાળી હતી અને મહંત સ્વામીને સરહદ પરના આ વિશેષ મંદિર માટે કંઇક કરવા ઈચ્છા વ્યક્ત કરતા ભુજ મંદિર દ્વારા આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નાના એવા આ મંદિરને રૂ. 2.5 કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરી સરહદ પર એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. આજે અનેક પ્રવાસીઓ ભુજથી 150 કિલોમીટરનો લાંબો અંતર કાપી ખાસ આ મંદિરના દર્શનાર્થે પહોંચે છે.



    આ મંદિર પ્રત્યે જવાનોને પણ અતૂટ શ્રદ્ધા છે. જવાનો અહીં આવી પોતાની ઈચ્છા રજૂ કરી આમન્યા માને છે અને તે પૂરી થવા પર મંદિરમાં એક ઘંટ ચઢાવે છે. તો અહીંથી બદલી પામીને જતા જવાનો પણ મંદિરમાં ઘંટ બાંધી પોતાની શ્રદ્ધાનો એક અનન્ય ઉદાહરણ પુરું પાડે છે.



    ભેડીયા બેટ જવા માટે પરમીટ

    આંતરાષ્ટ્રીય સરહદ નજીક નો મેન્સ ઝોન કહેવાતા વિસ્તારમાં આ મંદિર આવેલું હોતાં પ્રવાસીઓને અહીં દર્શન માટે આવવા બીએસએફ પાસેથી પૂર્વ અનુમતિ મેળવવી પડે છે. પ્રવાસીઓને પોતાના પ્રવાસના દિવસથી પાંચ-સાત દિવસ પહેલા એક લેખિત અરજી ભુજના કોડકી રોડ પર આવેલા બીએસએફ સેક્ટર હેડક્વાર્ટર ખાતે જમા કરાવવાની હોય છે.



    બીએસએફના ડીઆઈજીને સંબોધિત પત્રમાં પ્રવાસની તારીખ, ઉદ્દેશ્ય સાથે પ્રવાસીઓની સંખ્યા, નામ અને ગાડીની વિગતો પણ જણાવવી પડે છે. તો સાથે જ દરેક પ્રવાસીઓના સરકાર માન્ય ઓળખ પત્ર અને ગાડીના રજીસ્ટ્રેશન સર્ટીફીકેટની નકલ પણ જમા કરાવવાની હોય છે. બે થી ત્રણ દિવસમાં બીએસએફ દ્વારા ચકાસણી કરી પરમીટ આપવામાં આવતી હોય છે.

    First published:

    Tags: Hanuman, Kutch, Local 18, Temple