Dhairya Gajara, Kutch: કચ્છના એક તળાવમાં એક સાથે બધા બતકોના રહસ્યમય મોતનો અજીબ બનાવ સામે આવ્યો છે. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામ પાસે આવેલા એક તળાવમાં વસવાટ કરતા બતકો આજે વહેલી સવારે એકસાથે મૃત હાલતમાં મળી આવતા આસપાસના લોકોમાં અચરજ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ પણ દોડતું થયું હતું અને ઘટનાનું કારણ જાણવા તજ ઇજ હાથ ધરી હતી.
પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં અંજારથી આદિપુર જતા માર્ગ પર મેઘપર કુંભારડી ગામ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે આવેલા એક નાનકડા તળાવમાં 15 જેટલા બતકોના ટોળાનો વસવાટ હતો.
નિત્યક્રમ મુજબ મેલડી માતાજીના મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરે આવતા તેમણે જોયું કે તળાવમાં બધા જ બતક મૃત હાલતમાં હતા અને કિનારા પર તેમના મૃતદેહોની કતાર લાગી હતી. કાલે મોડી સાંજથી આજે વહેલી સવાર વચ્ચે બનેલી આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ હોતાં આ બનાવ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
મેલડી માતાજીના મંદિરના પૂજારી શામજીભાઈએ જણાવ્યું હતું કે રોજ સવારે તેમના મંદિરે આવવાના સમયે બતકો તળાવમાં તરતી હોય છે પરંતુ આજે સવારે તેઓ મંદિરે પહોંચતા તળાવમાં એક પણ બતક દેખાઈ ન હતી અને નજીક જતા તળાવના કિનારે બતકોના મૃતદેહ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગ પણ ઘટનાસ્થળે દોડી પહોંચ્યું હતું. અંજાર રેન્જના ફોરેસ્ટ ઓફિસર જે. બી. આહીર દ્વારા તળાવમાંથી પક્ષીઓના મૃતદેહ કાઢી પંચનામુ કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કામગીરી હાથ ધરી હતી.