Home /News /kutchh-saurastra /ઝાલાવાડની પ્રજા મત બદલે છે: પ્રજા કોની થાય છે, ડોક્ટરની કે સોમાભાઈની?

ઝાલાવાડની પ્રજા મત બદલે છે: પ્રજા કોની થાય છે, ડોક્ટરની કે સોમાભાઈની?

પ્રજા કોની થાય છે, ડોક્ટરની કે સોમાભાઈની?

ઝાલાવાડ પંથકની સુરેન્દ્રનગર બેઠક લોકસભા ચૂંટણીમાં તેના નેતા ચૂંટી કાઢવાના મામલે રાજસ્થાનના મતદાતાઓ જેવો સ્વભાવ ધરાવે છે

ન્યૂઝ18 ગુજરાતી: ઝાલાવાડ પંથકની સુરેન્દ્રનગર બેઠક લોકસભા ચૂંટણીમાં તેના નેતા ચૂંટી કાઢવાના મામલે રાજસ્થાનના મતદાતાઓ જેવો સ્વભાવ ધરાવે છે. અહીં દર પાંચ વર્ષે નેતા બદલી નાખવાની પરંપરા હોય એવુ ચિત્ર જોવા મળે છે. ૧૯૯૧થી તો એવી જ સ્થિતિ છે. કદાચ, આ કારણે આ વિસ્તાર પછાત રહી ગયો હોય શકે ! જ્ઞાાતિના આધારે થતું મતદાન ઉમેદવારોને જીતાડે છે જરૂર પરંતુ જીતી ગયા પછી પ્રજાના પ્રશ્નોનું ખાસ નિરાકરણ થયું નથી તે પણ વાસ્તવિકતા છે

શું છે મુખ્ય સમસ્યાઓ ?

'બંદૂકે દેજો પણ દીકરીને ધંધુકે ન દેજો' એવી લોકવાયકા ધરાવતો આ સુરેન્દ્રનગર જિલ્લો પાણીની સમસ્યાથી વર્ષોથી પીડાઈ રહ્યો છે. આ ઉપરાંત, ખેડુતોના પાક વિમાની સમસ્યા, સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, રેલ્વેના અધુરા પ્રશ્નો, છેવાડાના વિસ્તારોમાં નર્મદા કેનાલનો અભાવ, ગેરકાયદેસર ખનીજ સંપત્તિનો વહન અને ચોરી, અગરીયાઓની પડતર સમસ્યાઓ તથા શહેરી વિસ્તારમાં સફાઈ અને પ્રાથમિક સુવિધાનો અભાવ હંમેશા સુરેન્દ્રનગરનો નડતો રહ્યો છે

અહીં ક્લિક કરી વાંચોઃ જામનગર ગ્રામ્યનો જંગ, પક્ષપલટુની છબી રાઘવજીની જીત આડે આવશે?

જાતિગત સમીકરણો:

સૌથી વધુ આ બેઠક પર કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહેલું છે. અંદાજે ૫.૩૬ લાખ જેટલાં કોળી મતદારો છે. જયારે રાજપૂત, દરબાર અને કાઠી સહિત ૧.૯૮ લાખ, દલિત ૧.૮૬ લાખ, પટેલ ૧.૬૩ લાખ, ભરવાડ અને રબારી ૧.૪૮ લાખ, દલવાડી ૧.૧૭ લાખ, મુસ્લીમ ૧.૦૬ લાખ, બ્રાહ્મણ ૪૫ હજાર, જૈન ૩૯ હજાર અને અન્ય સમાજ મળી ૨.૯૩ લાખ મતદારો નોંધાયા છે.

સાંસદનું રિપોર્ટ કાર્ડ :

ભાજપના સાંસદ દેવજીભઈએ કુલ ૨૫ કરોડ ગ્રાંન્ટની ફાળવણીમાંથી ૨૩.૭૦ કરોડ ગ્રાન્ટ સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ અને બોટાદ જિલ્લામાં વાપરી છે. જેમાં રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય, શિક્ષણ, વિજળીકરણ, સીંચાઈ, ગટર, રમત-ગમત, સ્થાનિક વિકાસ સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિશેષ કોઈ કામગીરી તેમના નામે બોલતી નથી. જો કે, આ વખતે દેવજીભાઈનું પત્તુ કપાયું છે એટલે તેઓ ભાજપ વિરુદ્ધ કામગીરી કરે તો નવાઈ નહિ

કોની વચ્ચે છે જંગ?

અહીં એવો ઈતિહાસ જોવા મળ્યો છે કે જે પક્ષની સરકાર હોય તે જ પક્ષનાં સાંસદ ચુંટાઈને આવે છે. આ દૃષ્ટિએ ભાજપ માટે ઉજળા સંજોગો કહી શકાય. અહીં ભાજપે નવા ચહેરાને તક આપી છે. વર્ષ ૨૦૧૪માં ભાજપના દેવજીભાઈ ફતેપરા આ બેઠક પરથી વિજયી થયા હતા. આ વખતે ડો મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી છે. જયારે કોંગ્રેસ તરફથી જુના જોગી સોમા ગાંડા પટેલ મેદાનમાં છે. બન્ને મુખ્ય પક્ષના ઉમેદવારો કોળી સમાજમાંથી આવે છે એટલે કોળી સમાજના મતો જ નિર્ણાયક છે.

કોંગ્રેસમાંથી નારાજ થયેલા લાલજી મેરે અહીં અપક્ષ ઉમેદવારી કરી છે. તેઓ કોંગ્રેસના મતોમાં વિભાજન કરી શકે એમ છે. લાલજીભાઈ અગાઉ ભાજપમાં હતા, થોડા વખત પહેલા જ કોંગ્રેસમાં આવ્યા છે. કોંગ્રેસના પ્રયાસ છતાં તેમણે સ્વતંત્ર લડવાનું નક્કી કર્યું છે.

અનુમાન :

અહીંની સાત પૈકીની છ વિધાનસભા બેઠકો એટલે કે દસાડા, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા, ધંધુકા અને વિરમગામ કોંગ્રેસ પાસે છે. માત્ર વઢવાણ સિટીની બેઠક ભાજપ પાસે છે. આ રીતે વિધાનસભામાં તો ભાજપનો પનો ટૂંકો પડે છે. આ વિધાનસભા બેઠકના મતદારો લોકસભાના મતદાનમાં ફેરવાય તો પાસા ભાજપ માટે ઉલ્ટા પડે તેમ છે. વળી, આ બેઠક પર સૌથી વધુ ૩૧ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અહીંની પ્રજા વિકાસથી વંચિત છે તે સ્પષ્ટ છે, આ પરિસ્થિતિમાં મતદારોનો ઝોક પરિણામો નક્કી કરશે.
First published:

Tags: Constituency, Ground Report, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, Saurashtra gujarat lok sabha election 2019, Surendranagar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો