રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજ્યમાં શ્રમિકોની વતન વાપસી મુદ્દા રાજકારણ ચરમસીમાએ છે. સુરેન્દ્રનગરના દશાડાના ધારાસભ્ય નૌશાદ સૌલંકી આજે આ મુદ્દે આકરાપાણીએ જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગરથી આજે 1200 શ્રમિકોને લઈને રવાના થનારી ટ્રેનનું ભાડું ચુકવવા આવેલા નૌશાદ સોલંકીનો ચેક કલેક્ટરે ન સ્વીકારતા મામલો બીચક્યો હતો. સોલંકીનો આક્ષેપ છે કે જે ગરીબ શ્રમિકો પાસે ટંકનો રોટલો નથી બચ્યો તેમની પાસેથી તંત્ર 650 રૂપિયા ભાડું વસૂલી રહ્યું છે. સોલંકીએ આ શ્રમિકોને પૈસા પરત આપી અને સમગ્ર ટ્રેનનું ભાડું આપવાની જાહેરાત કરી હતી. જોકે, સુરેન્દ્રનગરના કલેક્ટરે તેમની રજૂઆત ન સાંભળી હોવાના આક્ષેપ સાથે નૌશાદ સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી. સોલંકીએ જણાવ્યું કે 'જો શ્રમિકોને ભાડું પરત આપવામાં નહીં આવે તો આજે મારી લાશ પરથી ટ્રેન પસાર થશે'
નૌશાદ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે 'હું મારી અંગત મૂડીમાંથી 7.5 લાખ રૂપિયાનો ચેક લઈને આવ્યો હતો. કલેક્ટરે મારો ચેક સ્વીકાર્યો નથી. હું રજૂઆત કરવા આવ્યો મને સાંભળ્યો નહીં વીડિયો કોન્ફરન્સમાં હોવાનું બહાનું આપી કલેક્ટરે અમને પ્રત્યુતર પાઠવ્યો નથી. આ શ્રમિકો પાસે અનાજનો એક દાણો નથી, જો તેમને પૈસા પરત આપવામાં ન આવ્યો તો મારી લાશ પરથી ટ્રેન પસાર થશે'
આ પણ વાંચો : સુરત : શ્રમિકોની ટિકિટના પૈસા પચાવી જનાર BJP કાર્યકર વર્માની વધુ એક દાદાગીરી, વીડિયો બનાવનારને બેઘર કર્યો
1200 શ્રમિકોને લઈને UP ટ્રેન જશે
દરમિયાન આજે સુરેન્દ્રનગરથી બપોરે 2.30 વાગ્યાના સુમારે ઉત્તર પ્રદેશના 1200 શ્રમિકોને લઈને વિશેષ રેલ રવાના થવાની છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ આ ટ્રેન માટે પ્રત્યેક શ્રમિકો પાસેથી 650 રૂપિયા ટિકિટ લેખે વસૂલવામાં આવ્યા છે. સરકાર મફતમાં મુસાફરી કરાવવાની વાતો કરે છે પરંતુ અહીંયા પૈસા લેવામાં આવ્યા છે.
ધારાસભ્યની અટકાયત
આ મુદ્દે કલેક્ટર કચેરીએ હંગામો થયા બાદ દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહીત આઠ જણાની અટકાયત કરવામાં આવી છે. કલેક્ટરના આદેશથી પોલીસે તેમની સાથે 8 કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે. સોલંકીએ ટ્રેનના પાટા નીચે સુઈ જવાની ચીમકી ઉચ્ચારી હતી.
Published by:News18 Gujarati
First published:May 09, 2020, 12:28 pm