રાજકોટ : ધૂળેટીના દિવસે ૮૦ ફુટ રોડના પેટ્રોલ પંપ પર જંગલેશ્વરના એક શખ્સે રૂ. ૭૯નું પેટ્રોલ પુરાવી રૂ. ૮૦ ચુકવી ૧ રૂપિયો પાછો લેવા બાબતે માથાકુટ કરી બાદમાં જતાં રહી બીજા શખ્સ સાથે આવી પેટ્રોલપંપના કર્મચારીને માર મારી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે બે લોકો વિરુદ્ધ ગુનો નોંધી અટકાયતમાં લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ અંગે ભકિતનગર પોલીસે સોરઠીયા વે બ્રીજ ૮૦ ફુટ રોડ પર સોમનાથ પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં ભરતભાઇ નાથાભાઇ ગોહેલની ફરિયાદ પરથી જંગલેશ્વરના અકરમ અને શાહનવાઝ સામે આઇપીસી ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ભરતભાઇના કહેવા મુજબ, 'ધૂળેટીના દિવસે બપોરે પેટ્રોલ પંપ ખાતે હતો, ત્યારે એક શખ્સ એકટીવા લઇ પેટ્રોલ પુરાવવા આવ્યો હતો. મેં તેને કેટલાનું પુરવું છે? તેમ પુછતાં તેણે મને ૭૯નું ભરવું છે તેમ કહ્યું હતું. આથી મેં તેને રૂ. ૭૯નું પેટ્રોલ ભરી આપ્યૂં હતું, એ પછી તેણે રૂ. ૮૦ આપ્યા હતાં. મેં તેને મારી પાસે ૧ રૂપિયો છુટો નથી તેમ કહેતાં તે જોર જોરથી કહેવા લાગ્યો હતો કે ન હોય તો એ તારો પ્રશ્ન છે. આથી હું અમારી ઓફિસના મેનેજર મુકેશભાઇ ચાવડા પાસે તેને લઇ ગયો હતો અને તેમણે રૂ. ૧ પાછો આપી દીધો હતો.'
'તેને સારું ન લાગતાં તે મને અને મુકેશભાઇને જેમ તેમ બોલીને 'તમને જોઇ લઇશ' કહી ગાળો દઇ જતો રહ્યો હતો. થોડીવાર પછી આ શખ્સ બીજા એક શખ્સને લઇને આવ્યો હતો અને બંનેએ 'કસ્ટમર સાથે ગેરવર્તન કેમ કર્યુ?' કહી મારો કાંઠલો પકડી મને જ્ઞાતિ પુછતાં મેં જ્ઞાતિ જણાવતાં તે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો બોલવા માંડ્યો હતો અને મને ઢીકાપાટુનો માર મારવા માંડ્યો હતો. મેનેજર મુકેશભાઇ ચાવડા બચાવવા આવતાં એક શખ્સે નેફામાંથી છરી કાઢી હતી અને વીંઝવા માંડતાં મને પેટ પડખામાં ઇજા થઇ હતી. માણસો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં. એ પછી ૧૦૮ મારફત મને હોસ્પિટલમાં ખસેડાયો હતો.'