રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) પહેલા કોંગ્રેસને (Gujarat Congress) મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના (Saurashtra Politics) બે દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીમાં (AAP Gujarat) જોડાયા છે. મળતી જાણકારી અનુસાર, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) તથા રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા (Vashram Sagathiya) આપમાં જોડાઇ ગયા છે.
ઇન્દ્રનીલ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા
ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બંન્ને નેતાઓ આજે જ આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક થઇ હતી.
ઇન્દ્રનીલ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતુ
થોડા દિવસો પહેલા જ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાવનગરનાં પ્રભારી પદેથી રાજીનામું આપી દીધું હતુ. આ સાથે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવો ગણગણાટ શરૂ થયો હતો. ત્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ નારાજ થતા તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં હતા. તે સમયે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યુ હતુ કે, 'પહોંચી ન શકવાના કારણે ભાવનગરના પ્રભારી તરીકે રાજીનામું આપ્યુ છે. હાલ સુરેન્દ્રનગરના ઉપપ્રમુખ તરીકે મારી ફરજ ચાલુ છે. મારી કોંગ્રેસ સાથે કોઈ નારાજગી નથી. જે વાત સામે આવી છે તે માત્ર અફવા છે.'
2022ની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. ત્યારે પૂર્વ એમએલએ પ્રાગજી પટેલ બાદ બુધવારે ભાજપના પુર્વ ધારાસભ્ય અને પુર્વ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ કમા રાઠોડે ઘર વાપસી કરી છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ છે. ત્યારે ભાજપ દ્વારા પક્ષમાંથી બરતરફ કરેલા લોકો ફરી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ માંડલના પૂર્વ એમએલએ પ્રાગજીભાઈ પટેલ પણ જોડાયા હતા. કમલમ ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પુન: પ્રવેશ્યા અને કેસરિયો ધારણ કર્યો.