Home /News /kutchh-saurastra /રાજકોટ : યુવાનને 30થી વધુ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, બાળઆરોપીએ હકિકત જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ
રાજકોટ : યુવાનને 30થી વધુ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો, બાળઆરોપીએ હકિકત જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ
ગોંડલ મર્ડર કેસ ઉકેલાયો
કેવી રીતે, અને કોણે કોણે હત્યા કરી? બાળઆરોપીએ પોપટ બની જણાવી તમામ હકિકત - જવાનજોધ હીરો જેવા દીકરાને તેના જ ત્રણ મિત્રોએ રહેંસી નાખ્યો - પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો
રાજકોટ : ગોંડલ સૈનિક સોસાયટીમાં રહેતા યુવાનને 30થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી કૂવામાં લાશ ફેંકી દીધાની ઘટનામાં પોલીસે યુવાનના મિત્ર બાળ આરોપીને ઝડપી લઇ પૂછપરછ શરૂ કરતા પોપટ બની ગયેલાં આરોપીએ વટાણાં વેરી નાખતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યામાં મૃતકના ત્રણ મિત્રો જ સંડોવાયેલા હોય તપાસના ચક્રોગતિમાન કરી નાશી છુટેલાં હત્યારાઓને ઝડપી લેવાં દોડધામ શરું કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 21) ની ગત તારીખ 25 એપ્રિલ ના છરીઓના 30થી વધુ ઘા હત્યા કરાયેલ હાલતમાં કૂવામાંથી લાશ મળી આવ્યાં બાદ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, પીઆઇ એસ એમ જાડેજા સહિતનાઓએ તપાસના ચક્રોગતિમાન કરી સૈનિક સોસાયટીમાં રહેતા અજયસિંહના મિત્ર બાળ આરોપીને પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતા તે પોપટ બની ગયો હતો અને સઘળી હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અજયસિંહની હત્યામાં તેના જ મિત્રો જયવીરસિંહ જયદીપસિંહ જાડેજા, વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઈ બારડ તેમજ સચિન રસિકભાઈ ધડુક હત્યા બાદ નાસી છૂટ્યા હોય તેને ઝડપથી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરીમાં રામ દ્વાર પાસે એસટી બસ ઉપર પથ્થરમારો થવા પામ્યો હતો. જેમાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ઉપરોક્ત આરોપીઓના નામ આપ્યા હોય જેનો ખાર રાખી અજયસિંહ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બસ પર પથ્થરમારાની ઘટના બાદ ઉપરોક્ત આરોપીઓએ અજયસિંહ દારુ વેચતો હોવાનું પોલીસને જણાવી તેની ઘરે દરોડા પડાવ્યા હતા અને વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો, બાદમાં અજયસિંહના બહેન રાજકોટ ખાતે સ્પા ચલાવતા હોય અજયસિંહને ત્યાં લઈ ગયેલા હતા, પરંતુ હાલ કોરોનાની સ્થિતિમાં રાજકોટમાં લોકડાઉનની સ્થિતિ હોય અજયસિંહ તેની માતા પાસે ગોંડલ આવ્યો હતો. જેની જાણ આરોપીઓને થતાં અજયસિંહની તલાશમાં રહેલા આરોપીઓએ તારીખ 25ના રોજ અજયસિંહની હત્યા કરી હતી.
અજયસિંહ ગુમ થયા બાદ રાજકોટ સ્થિત તેમના બહેન હિનાબા એ પોલીસ ફરિયાદમાં ઉપરોક્ત આરોપીઓના શકમંદ તરીકે નામ આપતા પોલીસનું કામ સરળ બન્યું હતું અને પોલીસે તુરંત સગીર આરોપીને ઉઠાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. નાસી છુટેલા મુખ્ય ત્રણે આરોપીઓને શોધવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓએ સૈનિક સોસાયટીની પાછળ આવેલ પાનની કેબીનની પાછળ અજયસિંહને વિવેક અને સચિને પકડી રાખ્યા હતા, જ્યારે જયવીરસિંહએ 30થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં લાશને બાવળની ઝાડીમાં નાખી ડેમ ખાતે કપડાં ધોવા અને નહાવા પહોંચી ગયા હતા. મોડીરાત્રીના ફરી સ્થળ ઉપર આવી લાશને પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી. લાશને ઠેકાણે પાડતી વેળાએ બાળ આરોપી હાજર ન હતો બીકને લીધે ઘરે જ સુઈ ગયો હતો.