રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઇ) દ્વારા રાજકોટ મહાનગર પાલિકાને પાંચ ઈલેક્ટ્રિક બસો ફાળવવા નિર્ણય કર્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ સંદર્ભે આગામી ૧૫ એપ્રિલના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે એક કરાર કરવામાં આવનાર છે. આશરે રૂ. ૨ કરોડની કિંમતની આ પાંચ બસો બી.આર.ટી.એસ. ટ્રેક પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી વચ્ચે દોડાવવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ થોડા સમય પૂર્વે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને એક પત્ર પાઠવી રાજકોટ મહાનગરપાલિકાને ઇલેકટ્રીક બસો ફાળવવા વિનંતી કરી હતી અને એ વિનંતીને માન્ય રાખી આ પાંચ બસો ફાળવી છે. આ ઇલેક્ટ્રિક બસ સંપૂર્ણપણે અવાજરહિત અને પ્રદુષણમુક્ત છે. આ બસ ઇલેક્ટ્રિક પાવર વડે ચાલનાર હોઈ કાર્બન ઉત્સર્જનણો પ્રશ્ન રહેતો જ નથી. આ એરકન્ડીશન્ડ બસમાં લેટેસ્ટ સ્માર્ટ ટેકનોલોજી સાથેની હાઈફાઈ સુવિધાઓ, સલામતી, આરામપ્રદ બેઠક વ્યવસ્થા, ઓન બસ ઇન્તેલીજંટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, સર્વેલન્સ કેમેરા, મુસાફરોને માહિતી આપવા માટે સ્પીકર, વધુ પહોળાઈના દરવાજા અને ગેંગ વે વગેરેનો સમાવેશ થાય છે. ક્લીન અને ગ્રીન પર્યાવરણ માટે આ ઇલેક્ટ્રિક બસ આશીર્વાદરૂપ બનશે.
રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ફંડ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને આ પાંચ બસ ફાળવી છે. એક ઇલેકટ્રીક બસની કિંમત આશરે રૂ. ૪૦ લાખ જેવી થાય છે. બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, "સ્વાભાવિકપણે જ વાહનોની સંખ્યા વધવાને કારણે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ક્રમશ: વધે છે. જોકે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે જે બસ દોડાવવામાં આવી રહી છે તેનાથી કાર્બન ઉત્સર્જન ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. શહેરમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય તે માટે રિન્યુએબલ અને નોન-રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિવિધ પગલાંઓ લઇ રહી છે. જેમાં શહેરની તમામ સોડીયમ સ્ટ્રીટ લાઈટ એલ.ઈ.ડી. લાઈટમાં કન્વર્ટ કરવામાં આવી છે. સોલાર એનર્જી મેળવવા માટે મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓને ઓફિસ કામ માટે ૩ ઇલેક્ટ્રિક બાઈક તથા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા લોકો માટે ઇલેક્ટ્રિક કાર પણ વસાવવામાં આવેલી છે."