મોરબી: મોરબી પુલ દુર્ઘટનાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ કેસમાં આજે મંગળવારે બપોરે ભાગેડુ જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તાજેતરમાં જ 27મી જાન્યુઆરીએ મોરબી પુલ દુર્ઘટનામાં સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું હતું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરાઇ હતી. જે બાદથી જ શક્યતા સેવાઇ રહી હતી કે, ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરી શકે છે.
10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું
અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું હતું. જે બાદ આજે 31મી જાન્યુઆરીએ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય આવવાનો હતો.
અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. જેમાં ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’
ગુજરાત હાઈકોર્ટે કરી હતી ટકોર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરી હતી. આ ઘટના બન્યાને 87 દિવસ પૂર્ણ થઈ ગયા છે. મોરબી હોનારતમાં કેટલાય લોકોના અકાળે મોત પણ થયા હતા. ત્યારે જયસુખ પટેલે 87 દિવસ બાદ અફસોસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા. જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ત્યાં સુધી કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. કેમ કે, તેઓની માનવતાના ધોરણે ફરજ હતી જે તેમને નિભાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર