Home /News /kutchh-saurastra /મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કરાઈ, જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવાયું
મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કરાઈ, જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવાયું
જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવાયું
Morbi Pool disaster: મોરબી પૂલ દુર્ઘટનામાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. જયસુખ પટેલનું નામ ભાગેડું આરોપી તરીકે દર્શાવાયું. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી છે.
મોરબી: મોરબી પુલ દુર્ઘટનામાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે. જેમાં ભાગેડું આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દર્શાવાયું છે. કુલ 1262 પાનાની ચાર્જશીટને પોલીસે કોર્ટમાં રજૂ કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સોમવારે 90 દિવસ પૂર્ણ થવાના છે. 90 દિવસ પૂર્ણ થાય તે પહેલા ચાર્જશીટ રજૂ કરાઈ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે, જ્યારે 10માં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું છે.
તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી મૂકશે. જ્યારે આ કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી છે. જયસુખ પટેલની અરજી પર 1 ફેબ્રુઆરીએ નિર્ણય લેવાશે.
આરોપી જયસુખ પટેલની આજે ધરપકડ થઈ શકે: સૂત્ર
મોરબી પૂલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે, ત્યારે સૂત્રોનું માનીએ તો આરોપી જયસુખ પટેલની આજે ધરપકડ થઈ શકે છે. ધરપકડના ડરથી જયસુખ પટેલ હાજર થાય તેવી પણ શક્યતા છે. ચાર્જશીટમાં પોલીસે જયસુખ પટેલનું નામ નાસતા ફરતા આરોપી તરીકે દાખલ કર્યું છે, તેથી તે હાજર થાય તેવી શક્યતાઓ પણ છે.
અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં જયસુખ પટેલના વકીલે સુઓમોટો સુનવણીમાં પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી. જે અરજી આજે હાઇકોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને પક્ષ કાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. જેમાં ઘટનાના 87 દિવસ પછી જયસુખ પટેલ દ્વારા જવાબ પણ રજૂ કરાયો હતો કે, ‘મને અફસોસ છે વળતર આપીને હું મારી જવાબદારીમાંથી છૂટી નથી જતો પરંતુ મને મારો જવાબ યોગ્ય રીતે રજૂ કરવા મોકો મળવો જોઈએ અને ઝૂલતો પુલનું રીનોવેશન કામ મને વગદાર લોકોએ સોંપ્યું હતું જેમાં મારો કોઈ કોમર્શિયલ ઇરાદો ન હતો અને ફકત હેરિટેજ બચાવવા માટે આ કરવામાં આવ્યું હતું અને હું તમામ મૃતકો પરિજનોને વળતર પણ આપીશ.’
ગુજરાત હાઈકોર્ટે કરી હતી ટકોર
ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વળતર ચૂકવી દેવાથી જવાબદારીમાંથી છટકી જવાતું નથી અને હાઇકોર્ટ દ્વારા જયસુખ પટેલ પર જરૂરી પગલાં લેવા માટે પણ સરકારને ટકોર કરી હતી. આ ઘટના બન્યાને 87 દિવસ પૂર્ણ થઈ ગયા છે. મોરબી હોનારતમાં કેટલાય લોકોના અકાળે મોત પણ થયા હતા. ત્યારે જયસુખ પટેલે 87 દિવસ બાદ અફસોસ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગત 30 ઓક્ટોબરના રોજ ઝૂલતા પુલ તૂટી પડવાની ગોઝારી ઘટના બની હતી ત્યાર બાદ સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણેથી લોકો મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યાં હતા. જેમાં ભારત દેશના વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી ત્યાં સુધી કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પણ દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. કેમ કે, તેઓની માનવતાના ધોરણે ફરજ હતી જે તેમને નિભાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર