અતુલ જોશી, મોરબી: હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયાનું ક્રિકેટ રમ્યા બાદ મોત નીપજ્યું છે. મોરબીના લજાઈ ગામ પાસે ગત રાત્રીના ક્રિકેટ રમવા આવ્યા હતા. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં ક્રિકેટ પ્રેક્ટિસ દરમ્યાન યુવક અશોક કંઝારિયાનું મોત નીપજ્યું છે. મોરબીમાં વધુ એક યુવકનું ક્રિકેટ દરમ્યાન મોત નીપજતાં હળવદ પંથકમાં શોકની લાગણી પ્રસરી ચૂકી છે. જેમાં દર વર્ષે યોજાતી 31મી સ્વ બળવંત મહેતા ટોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી 26મી માર્ચે રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતુ. જે અનુસંધાને મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ મોરબી પાસે આવેલી લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન હળવદ તાલુકાના યુવા ક્રિકેટર પ્રેક્ટિસ દરમિયાન અચાનક વોમિટ અને છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક બાજુની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અશોકભાઈ.બી.કણઝરીયા હળવદ તાલુકાના માથક સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવાર અને હળવદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજુ વ્યાપી જવા પામ્યું હતું. હળવદ ક્રિકેટ જગતમાં અશોકભાઈ સારા પ્લેયર હતા. સારા ક્રિકેટરની કાયમી ધોરણે હળવદને ખોટ પડી છે. આ સાથે સાથે મોરબી જિલ્લા પંચાયતની ટીમમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. મોરબીમા ક્રિકેટ રમતા યુવકનું મોત થતાં જ ક્રિકેટ રસિયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, મૃતક હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયા નું ક્રિકેટ રમતાં જ મોત થયું હતું કે રોજિંદા ક્રિકેટ રમતા હતા. જેમનું અચાનક જ હાર્ટ એટેક આવતા સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું છે. આ દુર્ઘટના બાદ ગુજરાત સરકારના પંચાયત ગૃહગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરીને 15 એપ્રિલનાં રોજ રખાઈ છે. આ સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.