Junagadh History: કાળવા ચોકમાં સ્થિત જાજરમાન પ્રતિમાના (Kalva Chok) દર્શન કરતાં જ સવાશેર લોહી ચડે! આ જાજરમાન પ્રતિમા કાળવા ઓડેદરાની (Kalva Odedara) છે. આજે આ પ્રતિમાના અનાવરણનો રજત જયંતી મહોત્સવ (Rajat Jayanti Mahotsav)ઉજવાય રહ્યો છે, ત્યારે આવો જાણીએ આ પ્રતિમાનો જાજરમાન ઇતિહા
પોરબંદર ના ઓડદર ગામે વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખાત્રીજના પવિત્ર દિવસે ઓડેદરા (સુમરા) આલા મહેરને ત્યાં કાળવા ઓડેદરાનો જન્મ થયો. જેની શૂરવીરતા, દાતારી અને ખાનદાનીની ગાથાઓ ચોમેર ગવાતી હતી. કાળવાની ખ્યાતિને લઈને જૂનાગઢ નવાબને તેની સાથે મૈત્રી સંબંધ થયાં. નવાબે કાળવાને પોતાના દરબારમાં મોભાભર્યું સ્થાન આપી, કેટલાક ગામોની પાટો આપી.
એક સમયે ફુલરામા ગામની સીમ બાબતે નવાબના દીવાન અમરજી તથા કાળવાના ભાણેજ અરજણ જાડેજા વચ્ચે બોલાચાલી થાય છે, ત્યારે કાળવાની વાત માન્ય રાખી જૂનાગઢ નવાબ ફુલરામા ગામનો હવાલો પુન: જાડેજા મહેરોને સોંપે છે. ખંધો દીવાન અમરજી આ બાબતથી નારાજ થઈ, મનમાં વેર રાખી મોકો મળતા મીતી અને બગસરા(ઘેડ)ની વચ્ચે ધરમવાવની પાસે એકલા મળેલા અરજણ જાડેજાનું દગાથી ખૂન કરે છે. પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ મહમુદ બહાદુરખાન બીજા સામે જંગે ચડવાના નિર્ધાર સાથે જૂનાગઢ પર ચડી આવે છે.
કાળવા સાથે એનો ભેરૂબંધ પાદરીયા ગામનો જેમલ ખાંટ સાથ આપે છે. જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાની શાળામાં જઈ, તેને પકડી તેની ગરદને કટાર રાખે છે. કાળવાના પંજામાં ફસાયેલા શાહજાદાને છોડાવવા નવાબ કરગરીને આજીજી કરે છે, ત્યારે કાળવો પોતાની શરતો રાખતા નવાબને કહે છે કે; હું જે દરવાજેથી આવ્યો તે દરવાજાનું નામ ‘કાળવો દરવાજો’ રાખવું. અહીં જે ચોક છે તે ચોકનું નામ ‘કાળવા ચોક’ રાખવું. શાહજાદાને મુક્ત કરૂ પછી મારી પાછળ નવ દિવસ સુધી વાર ન આવવી જોઈએ.
કાળવા ઓડેદરા આવી અનેક શરતો મૂકે છે, જે બધી શરતો નવાબ મંજૂર રાખે છે. નવ સોરઠના ધણીને નમાવીને નીકળેલા કાળવા તથા તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી, ત્યારે ઓખામંડળમાં પોશીત્રા ગામે વાઘેરો આશરો આપે છે.
આ વાતની જાણ થતા જૂનાગઢ નવાબ વેરની આગમાં કાળઝાળ બને છે અને તુરંતજ નવાબ તેના સહાયક રજવાડાઓ જેવાકે; શેખ મીંયા (માંગરોળ), ભા.કુંભાજી મહારાજ(ગોંડલ), જામનગરના જામ જસાજીના મેરૂ ખવાસ, મોરબી ઠાકોર સાહેબના જીવાજી કાંયાજી, ભાવનગર વજેસંગ મહારાજનો સુબો, ઝાલા માનસિંહજી(ધાંગધ્રા-હળવદ), ખુદ નવાબના દિવાન અમરજી સાથે સાતેય રાજની ફોજે પોશીત્રા ગામે કાળવા ઉપર હલ્લો કર્યો.
પોશીત્રાનો કિલ્લો ઘણો ઊંચો હતો અને દારૂગોળો પુરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતાં કાળવો જોરદાર લડત આપતો હતો. અંદાજે એક મહીના સુધી આ ધીંગાણું ચાલ્યું. અંતે નવાબની સેનાએ ગઢ નીચે સુરંગ બનાવી, ત્યારે બહાર નીકળેલો કાળવો અને તેનો ભત્રીજો વજદે અનોખા શૌર્યથી લડતા શહીદ થયા.
તે દિવસ વિ.સં.1831 ફાગણ વદ બીજને ગુરૂવારનો હતો. આ ધીંગાણામાં કાળવાને મદદ કરવામાં 350 વાઢેર રાજપૂતો, 280 વાઘેર શહીદ થાય છે. આજે પણ કાળવાની રણખાંભી પોશીત્રા તથા પાળિયો બખરલાને પાદરે બિરાજમાન છે અને કાળવાચોક તરીકે ઓળખાતા જૂનાગઢના ચોકમાં તેની જાજરમાન પ્રતિમા આજે પણ એ ઇતિહાસની સાક્ષી પૂરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર