જૂનાગઢ: શહેર (Junagadh City) દિનપ્રતિદિન પ્રવાસન ક્ષેત્રે (Tourism) વિકાસ કરી રહ્યું છે, ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને શિવરાત્રીના મેળા અને પરિક્રમા (Lili Parikrama) દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં લાખોની જનમેદની ઉમટે છે, ત્યારે ભવનાથ (Bhavnath) તરફ જતા ફોર ટ્રેક રસ્તામાં દામોદર કુંડ (Damodar Kund) નજીક રસ્તો સાંકળો હોવાથી ટ્રાફિક સર્જાય છે. જે સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે, દામોદર કુંડ નજીક અંદાજે રૂ.2 કરોડના ખર્ચે 150 ફૂટ લાંબી ટનલ બનાવવાનું આયોજન અગાઉ નક્કી થયું હતું, તે કામગીરી ફરી એક વખત નવા ટેન્ડર સાથે શરૂ કરવામાં આવી છે.
ખાસ કરીને લીલી પરિક્રમા અને શિવરાત્રીના મેળા દરમિયાન લાખોની જનમેદની અહીંથી પસાર થાય છે, જેને કારણે ભવનાથ તરફ જતાં રસ્તે, દામોદર કુંડ નજીક રસ્તો સાંકળો હોવાથી ટ્રાફિક સમસ્યા ઉદ્દભવે છે. જેને લઈને મનપા દ્વારા અગાઉ ટનલ બનાવવાની યોજના અમલમાં મુકીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દામોદર કુંડ પાસેથી પસાર થતાં ફોરટ્રેક રોડમાં ટેકરીનું ખનન કરીને, એક ટનલ બનાવવાની યોજના મનપા દ્વારા અંદાજે અગિયાર મહિના પહેલાં રૂ.2 કરોડના ખર્ચે નક્કી કરવામાં આવી હતી. જે પછી ટનલ બનાવવા માટે જરૂરી ખોદકામ પણ કરવામાં આવ્યું, પરંતુ કોઈ કારણોસર આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
આ અંગે વાત કરતાં જૂનાગઢ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયાએ જણાવ્યું કે, વન તંત્રની સંપૂર્ણ મંજૂરી ન હોવાને કારણે આ કામગીરી અટકાવવામાં આવી હતી, જે હવે ફરીથી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ નક્કી કરવામાં આવેલ ટેન્ડરને રદ્દ કરીને, રૂ.2 કરોડ 5 લાખના ખર્ચે નવું ટેન્ડર પસાર કરી આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, પ્રવાસીઓની સુરક્ષા અને સરળતાને ધ્યાનમાં રાખીને આ કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. પરિણામે, અનેક વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે અને ટનલ બનવાથી વાહન વ્યવહાર પણ સરળ બનશે, સાથોસાથ ટેકરાની ભેખડો પણ નીચે ધસી આવતી બંધ થશે. જેને પગલે કોઈ જાનહાની ભય પણ નહીં રહે.