જૂનાગઢ: કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયને પ્રાપ્ત થયું રાષ્ટ્રીય કક્ષાએ બારમું સ્થાન
Junagadh News : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયએ રાષ્ટ્રીય કક્ષાએ એક સુંદર સિદ્ધી હાસલ કરી છે જે સમગ્ર સોરઠ પંથક માટે ગૌરવની વાત છે
જૂનાગઢ (Junagadh) શહેરની અનોખી ઓળખ સમાન કૃષિ યુનિવર્સિટીની (Agriculture University) કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયને એક ઉત્કૃષ્ટ સિદ્ધિ મળેલ છે. જે સિદ્ધિ રાષ્ટ્રીય કક્ષાએ પ્રાપ્ત થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી કોલેજને સંશોધન, શિક્ષણ સહિતની બાબત અંગે રાષ્ટ્રીય કક્ષાનું સર્વેક્ષણ (National Survey) થયું હતું. જેમાં કૃષિ એન્જી. અને ટેકનોલોજી કોલેજ દેશભરમાં 12 મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયને જીએચઆરડીસી – કોમ્પીટીશન સક્સેસ રીવ્યુ રેન્કિંગ ઓફ ઈન્ડિયા ટોપ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલ રાષ્ટ્રીય કક્ષાના સર્વેક્ષણ મુજબ વર્ષ-2021 માં રાષ્ટ્રીય કક્ષાએ 12મું સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી નું નામ રોશન કરેલ છે.
સીએસઆર - જીએચઆરડીસી દ્વારા યોજાતા આ સર્વેક્ષણ સમગ્ર ભારતની એન્જીનીયરીંગ કોલેજોએ પ્રાપ્ત કરેલા માર્ક્સ (ગુણો) પરથી કરવામાં આવે છે, જેમાં કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી દ્વારા કરવામાં આવેલ સંશોધનો તેમજ સંશોધિત ટેક્નોલોજી નું વિસ્તરણ, કન્સલટન્સી, ઈડીપી, અન્ય કાર્યક્રમો, એડમિશન, કોર્ષ ક્યુરીકુલમ, વિદ્યાર્થીઓએ શિક્ષણ-સાંસ્કૃતિક-રમતગમત જેવા ક્ષેત્રોમાં મેળવેલ સિદ્ધિઓ, ડીલીવરી સિસ્ટમ, જોબ પ્લેસમેન્ટ, યુએસપી, સામાજિક જવાબદારીઓ, નેટવર્કિંગ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરફેઈસ વિગેરે જેવા પાસાઓને ધ્યાને રાખી ગુણો આપવામાં આવે છે.
આ વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના સફળ નેતૃત્વ અને ઉત્કૃષ્ટ માર્ગદર્શન, કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ અને ડીન ડો. એન. કે. ગોંટીયાના ઉત્તમ કાર્યદક્ષતા અને વિદ્યાશાખાના વિકાસ માટેના સતત પ્રયત્નો, યુનિવર્સીટી ઓથોરીટી ના ઉત્તમ માર્ગદર્શન તેમજ વિદ્યાશાખાના ફેકલ્ટી ની અથાગ મહેનતને આભારી છે.
ગૌરવપ્રદ વાત એ છે કે, છેલ્લા દસ વર્ષમાં કૃષિ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી મહાવિદ્યાલયનો રાષ્ટ્રીય કક્ષાએ ક્રમાંક ઉત્તરોતર અગ્રીમતા પ્રાપ્ત કરી રહ્યો છે, જે આ વિદ્યાશાખાના શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસને આભારી છે, તેવું જણાવવામાં આવ્યું છે.