દિનેશ સોલંકી, ગીર સોમનાથ: પાકિસ્તાન જેલમાં વધુ એક ભારતીય માછીમારનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે એક માછીમારની સ્થિતિ ગંભીર હોવાનું જણાય છે, જેથી તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. પાકિસ્તાન જેલથી આવેલા ફોને આખા ગામને હિબકે ચડાવ્યા છે. પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતના માછીમારોના પરિવારજનો માટે આ સમાચાર ઉચાટભર્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કોટડા ગામમાં હાલ શોકની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં બે દિવસ પહેલા પાકિસ્તાન જેલમાં કેદ આ ગામના યુવાને પોતાના ઘરે ફોન કરી જાણ કરી હતી કે, તેમના સાથી માછીમાર અને આ જ ગામના વતની જીતુ જીવા બારીયાનું અવસાન થયું છે. એટલું જ નહીં બીજા અન્ય માછીમાર રામજી રાજા ચાવડા હોસ્પિટલમાં ઓક્સિજન પર છે. તે જિંદગી અને મોત વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસો પહેલા જ ઉનાના માછીમારનો મૃતદેહ પોતાના વતન આવ્યા હતો. તેના થોડા દિવસ બાદ પાકિસ્તાનની જેલમાં વધુ એક માછીમારનું મોત અને અન્ય એક માછીમાર બીમાર હોવાને લઈ કોટડા ગામના માછીમાર પરિવારોમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પાકિસ્તાન જેલમાં કોટડા ગામના 44 માછીમારો કેદ છે. પાકિસ્તાન જેલમાં માછીમારના મોતના સમાચારને લઈને આખું ગામ હીબકે ચડ્યું છે. મૃત માછીમારના પરિજનો ચિંતિત બન્યા છે. જ્યારે અન્ય માછીમારોના પરિવારજનો સરકાર પાસે આશા રાખી બેઠા છે કે તાત્કાલિક તેમના માછીમારોને સરકાર છોડાવે.
જોકે, માત્ર કોટડા ગામના 44 સહિત ગુજરાત ભરના 500થી વધુ ભારતીય માછીમારો પાક જેલમાં કેદ છે. જેમાં અનેક માછીમારો 4થી 5 વર્ષથી કેદ હોવાને લઇ આ માછીમારો વહેલી તકે છૂટે તેવી માછીમાર પરિવારો માંગ કરી રહ્યા છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર