ગઢડા : ગઢડાનું ગોપીનાથજી (Gadhda Gopinathji Temple) મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. સંસાર છોડીને પ્રભુ શરણમાં આવેલા સંતો વચ્ચે સત્તા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી ચાલી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે (Gadhda Temple Chiarman Controversy) નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. હકિકતમાં ગઈકાલે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે.
જોકે, આચાર્ય પક્ષની આ જાહેરાતને દેવ પક્ષે માત્ર સ્ટન્ટ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ટ્રસ્ટીઓની મીટિંગમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આચાર્ય પક્ષે જણાવ્યું હતું કે હરજીવન સ્વામી મંદિરના ચેરમેન છે અને રહેશે. આ ઘટનાક્રમ માત્ર નાટકિય હતો.
દરમિયાન આજે ગઢડા મંદિરના જાણીતા સ્વામી અને પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ એક વીડિયો જાહેર કરી અને આક્ષેપ કર્યો હતો કે રાત્રે ૮ કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી ચુટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી બહાર કાઢ્યા હતા. તેમણે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો આપી ધાર્મિક સંસ્થામાં ન શોભે તેવું વર્તન કર્યું છે. ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને તાત્કાલીક તપાસ કરવાની માંગ છે.
એસપી સ્વામીના આ વાયરલ વીડિયો અંગે મંદિરના ચેરમેન હરજીવન સ્વામીએ જણાવ્યું હતું કે 'ગઈકાલની બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા કોઈ ગાળાગાળી કરવામાં આવી નથી માક્ષ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને બેઠક યોજવામાં આવી હતી. બંને પક્ષો દ્વારા પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હોવાથી આ બેઠક બોલાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પસમાં સીસીટીવી છે જેને જોવા હોય તે જોઈ શકે છે.