રાજકોટ: જૂનાગઢમાં બે રિક્ષાચાલકોની કરાયેલી હત્યા મામલે નવો ખુલાસો થયો છે. આ મામલે અમદાવાદ કનેક્શન સામે આવ્યું છે. બન્ને રિક્ષાચાલકોની હત્યામાં વપરાયેલું સોડિયમ સાયનાઇડ અમદાવાદની ટ્રેડિંગ ફર્મ ઉમા કેમિકલ્સમાંથી ખરીદવામાં આવ્યું હતું. સાડી ઉદ્યોગમાં ફેબ્રિકને ચમક આપવા માટે તેને ઉપયોગ કરવામાં આવશે, તેમ કહીને સોડિયમ સાયનાઇડ ખરીદવમાં આવ્યું હતું.. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ કેસના મુખ્ય આરોપી આસિફ ચૌહાણના બાળપણના મિત્ર ઇકબાલ ઉર્ફે આઝાદ શેખની સાઇનાઇડ મેળવવામાં મદદ કરવા બદલ ધરપકડ કરી હતી.
સાયનાઇડ મેળવવા કોણે કરી મદદ?
સાયનાઇડની શોધ કરતી વખતે આસિફે ઇકબાલની મદદ માંગી હતી. જે જેતપુરમાં યશ ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો. ગોંડલિયા અગાઉ ડાઈંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો. ગોંડલિયાએ ઉમા કેમિકલ્સને સાડી યુનિટ માટે સોડિયમ સાયનાઇડના સેમ્પલ આપવા જણાવ્યું હતું. ટ્રેડિંગ કંપનીએ સેમ્પલ મોકલી આપતાં તે તેણે ઇકબાલને આપ્યું હતું.
પોલીસે આસિફ (34), મેહમુદા ઘોઘારી (38) અને ઈમરાન ચૌહાણની બે ઓટો ડ્રાઈવર રફીક ઘોઘારી (40) અને તેના મિત્ર ભરત ઉર્ફે જ્હોન પિટહાદિયા (50)ની હત્યા બદલ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રફીકની પત્ની મેહમુદાનું આસિફ સાથે અફેર હતું. તેણે રફીક દ્વારા દારૂ લાવવા માટે ઉપયોગમાં લેવાતી કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલમાં સાઈનાઈડ નાખ્યું હતું જે તેણે અને ભરતે શેર કર્યું હતું.
આમ થયો ઘટસ્ફોટ
ગત 28 તારીખના રોજ ઝેરી પીણું પીવાથી બે વ્યક્તિના સ્થળ પર મોત થયા હતા. આ મામલે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં પોલીસને સફળતા મળી છે. મૃતક રફીક ઘોઘારીની પત્નીએ તેના પ્રેમી આસિફ ચૌહાણ સાથે મળી પતિની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક રફીક રીક્ષામાં સોડાની બોટલમાં સોડિયમ સાઈનાઈટ ભેળવ્યું હતું. રીક્ષામાં રહેલા સોડા પીતા રફીક ઘોઘારીનું સ્થળે મોત થયું હતું. આટલું જ નહીં, તે સોડા તેના મિત્ર ભરતે પણ પીધી હતી. આમ, બન્નેના સ્થળ પર જ મોત થયા હતા.