ભવનાથમાં આવેલા ભારતી આશ્રમની સ્થાપનાં બ્રહ્મલીન વિશ્વંભર ભારતીબાપુએ કરી હતી.બાપુ બ્રહ્મલીન થયાને બે વર્ષ પુરા થયા છે. આજે શિવરાત્રીનાં મેળામાં ભારતીબાપુની ખોટ વર્તાઇ રહી છે. તેના શિષ્ય બાપુને યાદ કરીને ભાવુક થયા છે.
Ashish Parmar, Junagadh: જૂનાગઢમાં ભારતી આશ્રમ આવેલો છે. ભારતી આશ્રમની સ્થાપના વિશ્વંભર ભારતી મહારાજે કરી હતી. ભારતીબાપુ બ્રહ્મલીન થયા તેના બે વર્ષ થયા. વિશ્વંભર ભારતી બાપુ વગર શિવરાત્રીનાં મેળાને બીજું વર્ષ છે. હરીહરાનંદ ભારતી બાપુ તેમના ગુરુને યાદ કરી રહ્યા છે.
ગુરુ કોઈ વ્યક્તિ નથી ગુરુ તત્વ છે
હરીહરાનંદ ભારતી બાપુએ ગુરુ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે, ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક તત્વ છે. તત્વને પારખી લીધેલી વ્યક્તિને ગુરુ કહેવાય.
તેમની વિદાય પછી મારા જીવનમાં ઉદાસીનતા છવાય
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, વિશ્વંભર ભારતી મહારાજની વિદાય પછી મારા જીવનમાં ઉદાસીનતા છવાઈ ગઈ છે. મને ડગલેને પગલે તેમની યાદ આવે છે. તેમની હાજરીમાં મને તેમનું માર્ગદર્શન મળી રહેતું હતું. આજે ક્યાંકને ક્યાંક તેમની મને ખોટ વર્તાય છે. મારા પર એમની જે હૂંફ અને છાયા હતી તે જતી રહી.
હાલ ભારતી આશ્રમના ગાદીપતિ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ આશ્રમ, છાત્રાલય, ગૌશાળામાં સેવા કાર્ય કરી રહ્યા છે . તેમણે જણાવ્યું હતું કે, વિશ્વંભર ભારતી બાપુના ગુરુ અવંતિકા ભારતી બાપુ બ્રહ્મલીન થયા અને ત્યારબાદ ભારતી બાપુએ આશ્રમનો કાર્યભાળ સંભાળી લોક સેવા કાર્યના રથને આગળ વધાર્યું.
93 વર્ષની વયે 10 એપ્રિલ 2021 ના મોડી રાત્રે વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા. જેનું એક વર્ષ પૂર્ણ થતા ભંડારો કરી ભક્તો, સાધુ, સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.